મહેસાણા ભાજપના કાર્યાલય કમલમ્ ખાતે આવનારી વિધાનસભા 2017ની ચૂંટણીને લઈને પ્રક્રિયા તેજ કરી છે. મહેસાણાના ઉમેદવારોને લઈને નિરીક્ષકો સેન્સ લેવા પહોંચ્યા હતા. આ સીટ પર હંમેશા પાટીદાર નેતોઓનું વર્ચસ્વ રહ્યું છે. ત્યારે આવનારી વિધાનસભાને લઈને પાટીદારો ભાજપથી નારાજ હોવાના કારણે ઓબીસી સમાજ દ્વારા ટીકિટની માંગ કરાઈ છે. મહેસાણામાં સાત વિધાનસભા બેઠક આવેલી છે અને ખાસ કરીને મહેસાણાની સીટો એટલે મહત્વની છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમિત શાહ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના માદરેવતન આવેલા છે. ત્યારે ભાજપ માટે કરો યા મરો જેવો ધાટ જોવા મળશે.
મહેસાણાની બેઠકની વાત કરીએ તો પાટીદાર સમાજનું પ્રભૂત્વ છે પણ પાટીદાર અનામત આંદોલને ભાજપને ફટકો આપ્યો છે. લોકસભા 2014માં ભાજપના ઉમેદવાર આ સીટ પર 2 લાખ કરતા વધુ વોટથી જીત્યા હતા. પણ પાટીદાર આંદોલન બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના હાલ ખરાબ થયા હતા. જેને લઈને ઓબીસી સમાજે આ સીટો માટે દાવેદારી નોંધાવી છે. ઓબીસીનેતાઓએ આક્ષેપ કરતા કહ્યું કે આ સીટ પર અમારા સમાજને તક મળી નથી તો આ વખતે અમને ટિકિટ મળવી જોઈએ એવી માગ કરી છે.