દલિત આગેવાનના આત્મવિલોપનના મામલે માહોલ ગરમાયો છે.ત્યારે સમગ્ર મામલાને થાળે પાડવા સામાજિક અને ન્યાય બાબતોના મંત્રી ઈશ્વર પરમારના નિવાસ સ્થાને એક બેઠક યોજાઈ.જેમાં પીડિત પરિવારના સગા-સંબંધીઓ હાજર રહ્યા હતા.
આ બેઠકમાં સરકાર દ્વારા પીડિત પરિવારની ચાર માગણીઓ પર સહમતી દર્શાવવામાં આવી છે.બેઠકમાં થયેલી ચર્ચા મુજબ પીડિત પરિવારની ખાલસા થયેલી જમીનને પરત કરવામાં આવશે.સાથે જ 7 અને 12ના ઉતારામાં પરિવારનું નામ ઉમેરવામાં આવશે.જે માટે મહેસૂલ વિભાગને સૂચના અપાઈ છે.
આ સાથે જ સ્થાનિક કલેક્ટરને પણ ડ્રાફ્ટ તૈયાર કરવા માટે કહેવાયું છે.દલિત પરિવાને અપાયેલી સાથણીની જમીન પણ આપવા માટે મહેસૂલ વિભાગને કહેવામાં આવ્યું છે.જ્યારે સમગ્ર મામલાની તપાસ માટે SIT અથવા હાઈકોર્ટના નિવૃત જજની અધ્યક્ષતામાં પંચ નિમવામાં આવશે.રાજ્ય સરકાર દ્વારા મૃતક ભાનુભાઈના પુત્ર અને પુત્રવધુને એક જગ્યા પર જ બદલી કરવા માટે પણ શિક્ષણ વિભાગને સૂચના આપવામાં આવી છે.જ્યારે એટ્રોસિટી અંતર્ગત ભોગ બનનારના પરિવારને મળતા 8 લાખમાંથી ખાસ કિસ્સામાં હાલ 4 લાખનો ડ્રાફ્ટ પણ આપવામાં આવશે.