નવી દિલ્હીઃ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા વરિષ્ઠ નેતા મણિશંકર ઐયરના ઘરે થયેલી બેઠકને લઇને મોટો ખુલાસો થયો છે. પૂર્વ સેનાધ્યક્ષ દીપક કપૂરે કહ્યું છે કે ઐયરના ઘરે થયેલી બેઠકમાં ભારત અને પાકિસ્તાનના સંબંધો પર વાતચીત થઇ હતી. રવિવારે પ્રધાનમંત્રી મોદીએ આરોપ લગાવ્યો હતો કે મણિશંકર ઐયરના ઘરે બેઠક યોજાઇ હતી.
જેમા પાકિસ્તાનના હાઇકમિશન અને પૂર્વ વિદેશમંત્રી સામેલ હતા. દીપક કપૂરે કહ્યું કે તેઓ આ બેઠકમાં હાજર હતા. બેઠકમાં માત્ર ભારત અને પાકિસ્તાનના સંબંધો મામલે વાતચીત થઇ હતી. અન્ય કોઇ મુદ્દાઓ પર નહીં. તો બીજી તરફ કોંગ્રેસે આરોપોને ખોટા ગણાવ્યા છે. કોંગ્રેસે કહ્યું છે કે ગુજરાત ચૂંટણીમાં હારના ડરથી પ્રધાનમંત્રી આ પ્રકારની વાતો કરે છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે કોંગ્રેસના નેતાઓએ પાકિસ્તાનના હાઇ કમિશનર સાથે કરેલી ગુપ્ત મીટિંગને લઇને ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ત્યારે ગુજરાત ચૂંટણી મુદ્દે પાકિસ્તાને નિવેદન આપ્યું છે. ગુજરાત ચૂંટણી મુદ્દે અમને કંઇ લેવા દેવા નહિ. પોતાના દમ પર ચૂંટણી લડો. અમારા પર તમામ આરોપો નિરાધાર છે.