નવી દિલ્હી: ભારતની બહાર ક્યાંય પણ વિદેશમાં ફરવા જવું હોય તો એના માટે પાસપોર્ટ બનાવડાવો જરૂરી છે. આ પાસપોર્ટ બનાવડાવવા માટે ખૂબ જ લાંબી પ્રોસેસ પણ હોય છે અને દિવસો પણ ખૂબ જ જાય છે. પરંતુ એમાંથી છુટકારો મેળવવા માટે ભારતના વિદેશ મંત્રાલયે પાસપોર્ટને લઇને બે મોટા ફેરફારની જાહેરાત કરી છે. જે મુજબ હવે પાસપોર્ટ મેળવવા માટે લાંબી રહા જોવી નહીં પડે. આપને ખૂબ જલ્દી પાસપોર્ટ મળતો થઈ જશે. પાસપોર્ટ લેવા ઇચ્છતી વ્યક્તિ લોકલ પાસપોર્ટ સેવા કેન્દ્ર દ્વારા સરળતાથી પાસપોર્ટ મેળવી શકે છે.
નવા નિયમના પગલે દેશના નાગરિક હવે સામાન્ય કેટેગરીમાં એક અઠવાડિયાની અંદર નવો પાસપોર્ટ મેળવી શકશે. અત્યાર સુધી પાસપોર્ટ મેળવવા માટે એક મહિના જેટલો સમય લાગતો હતો. પોલીસ વેરિફિકેશનમાં પણ આ માટે વધારે સમય લાગતો હતો. હવે પાસપોર્ટ જાહેર થયા પછી પોલીસ વેરિફિકેશન થશે તેમજ આ સેવા માટે કોઇ વધારાનો ચાર્જ નહીં લાગે.
પાસપોર્ટ મેળવવા માટે પાસપોર્ટ આવેદન સાથે હવે માત્ર ત્રણ ડોક્યુમેન્ટ્સ આપવા પડશે. જેમાં આધાર કાર્ડ વોટર આઇડી કાર્ડ અને પાન કાર્ડની કોપીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ફોર્મેટ એનેક્સચર-1 સાથે એક એફિડેવિટ (નાગરિકતાની સાબિતી ફેમિલી ડિટેઇલ્સ અને કોઇ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ના હોવું) આપવાનું રહેશે.
પાસપોર્ટ કેન્દ્ર આધાર નંબરની યોગ્યતા ઓનલાઇન કરશે. ઉપરાંત વોટર આઇડી કાર્ડ અને પાન કાર્ડની તપાસ પણ જરૂર મુજબ કરવામાં આવશે. આ દરેક પ્રક્રિયા પાસપોર્ટ માટેની અરજી મંજૂર કરાયા પહેલા જ પૂરી કરવામાં આવશે. આ સિવાય જો ડોક્યુમેન્ટ્સમાં કંઇ ગડબડ હશે તો પાસપોર્ટ રદ્દ કરવામાં આવશે.