મહેસાણાઃ જગુદણ નજીક આવે ૧૮ વીઘા જમીનનું બારોબારીયું થતા બે મૃત વ્યક્તિઓ સહીત ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવા પામી છે. મહેસાણાના જગુદણના ફરિયાદી દશરથજી ઠાકોરે મહેસાણા તાલુકા પોલીસ મથકે આપેલ ફરિયાદ મુજબ જગુદણ ગામની સીમમાં આવેલ બ્લોક નંબર ૬૨૭ ૬૨૮ ૬૨૯ વાલી ૧૮ વીઘા જમીન ગંભીરજી નાર્ભાજી કેશાજી અને અમાજીના નામે સંયુક્ત માલિકીની હતી. જે જમીનનું એકત્રીકરણ થતા ૬૪ વ્યક્તિઓનો વારસદાર તરીકે હક્ક હતો.
જો કે ૨૦ વર્ષ અગાઉ કોઈની જાણ બહાર ઠાકોર પ્રહલાદજી ગંભીરજીએ પાવર ઓફ એટર્ની વગર જ રૂ.૨ લાખમાં આ જમીન મહેસાણાના જનાર્દન જયંતીભાઈ રાવલ અને ગોવિંદલાલ વ્યાસને વેચાણ આપી દીધી હતી. જે મામલે ૧૪ એપ્રિલ ૧૯૯૭ના રોજ જગુદણ પંચાયતમાં તલાટી પાસે કાચી દસ્તાવેજ નોધ કરાવેલ.
બાદમાં ફરીથી દસ્તાવેજ રજીસ્ટર કરાવેલ. તો ૨૦૧૬ માં મેનાબેન ગંભીરજી ઠાકોરે પિતાની માલિકીની જમીનમાં ભાગ લેવા મહેસાણા સિવિલ કોર્ટમાં દાવો કરી મનાઈ હુકમ માંગી તપાસ માંગી હતી. જ્યારે જમીનના દાવા અરજીમાં નવીનચંદ્ર શાહે પક્ષકાર તરીકે જોડાઈને જમીન ખરીદીના દસ્તાવેજ રજુ કરતા મેનાબેન ચોકી ઉઠ્યા હતા.
આ જમીન ગોવિંદ વ્યાસ અને જનાર્દન રાવલે ખોટા દસ્તાવેજ થી રૂ.૨ લાખમાં નવીનચંદ્ર શાહના નામે કરી હોવાનું ખુલ્યું હતું. આ પૈકી કેટલીક જમીન ONGCએ વર્ષ ૧૯૯૮માં એક્વાયર કરતા હાલમાં નવીનચંદ્ર રૂ.૨ લાખ ભાડા પેટે મેળવે છે. જેથી મેનાબેનના ભત્રીજા દશારથી પ્રહલાદજીએ મહેસાણા તાલુકા પોલીસ મથકે મૃત પ્રહલાદજી ગંભીરજી ઠાકોર મૃતક ગોવિંદલાલ માણેકલાલ વ્યાસ અને જનાર્દન રાવલ સામે ફરિયાદ નોધાવી છે.
આમ ૨૦ વર્ષ પૂર્વે ૧૯૯૭ માં ખોટા દસ્તાવેજ રજુ કરીને વેચાયેલ જમીન મામલે ૨૦૧૮ માં ફરિયાદ કરતા પોલીસ પણ આ મામલે ઊંડાણ પૂર્વ તપાસ કરી રહી છે. ત્યારે ફરિયાદી પણ પોતાની જમીન પરત મેળવવા આશા સેવી રહ્યો છે.