સુરેન્દ્રનગરઃ શિયાળામાં ફુલગુલાબી ઠંડીની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે સુરેન્દ્રનગરમાં શિયાળાના ગણાતા પૌષ્ટિક આહાર કચરિયાનું ઠેર-ઠેર વેચાણ શરૂ થઇ ગયું છે. આખુ શહેર કચરિયાના સ્ટોલથી ઉભરાઇ રહ્યું છે. આવો તમણે વિશેષ અહેવાલમાં બતાવીએ કે સુરેન્દ્રનગરનું પ્રખ્યાત કચરિયું કયું છે.
આ છે સુરેન્દ્રનગર શહેર જયાં શિયાળાની શરૂઆત સાથે જ શહેરની જુદી જુદી જગ્યાઓ પર કચેરીયાનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે. અલગ અલગ જગ્યાઓના મંડપો પર વિવિધ પ્રકારના કચરિયાનું વેચાણ થાય છે. તલ ગોળ સુંઠ સહિતના કચેરીયાનું વેચાણ થાય છે. ગ્રાહકોને નજર સમક્ષ કચરિયું બનાવી આપવામાં આવે છે. સુરેન્દ્રનગરનું સૌથી વધુ લોકપ્રિય કાળા અને સફેદ તલના કચરિયાનું વેચાણ થાય છે. દરરોજ 4 હજારથી 5 હજાર કિલોનું કચરિયું વેચાય છે.
આ વખતે કચરિયાના ભાવમાં કિલોએ રૂ.30નો વધારો હોવા છતાં વેચાણમાં કોઇ ફરક પડતો નથી. સુરેન્દ્રનગરનું કાળુ કચરિયું અમદાવાદ રાજકોટ સુરત મુંબઇ અને વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવે છે. કચરિયાની સાથે સિંગપાક દાળિયાપાક તલસાંકળી ખજૂરપાકનું પણ વેચાણ કરાય છે.
ગત વર્ષ કરતાં ભાવમાં થોડો વધારો થયો હોવા છતાં ઘરાકીમાં કોઇ ફેર પડયો નથી. 40થી વધુ દુકાનો પર કચરિયાનો ભરપૂર વેચાણ થઇ રહ્યો છે. સુરેન્દ્રનગર વાસીઓ લાખો રૂપિયાનું કચરિયું શિયાળામાં આરોગી જાય છે.