આજે નવરાત્રીનો સાતમો દિવસઆખુ ગુજરાત સહિત સમગ્ર દેશ માં અંબાની આરાધનામાં મગ્ન બન્યા છે ત્યારે આજે શક્તિના સાતમા સ્વરૂપ કાલરાત્રીનું ખાસ મહત્વ રહેલુ છે. માં કાલરાત્રિ કાળનો નાશ કરવા વાળી છે એટલે જ તેને કાલરાત્રી તરીકે ઓળખવામાં આવે છે. માં કાલરાત્રિ અકાલ મૃત્યુના ભયને દુર કરે છે. જગદંબાના આ સ્વરૂપનું માત્ર સ્મરણ કરવાથી તમામ સમસ્યાનું નિરાકરણ આવે છે અને માતાજીની કૃપા ભક્તો પર અવિરત બની રહે છે.
માં કાલરાત્રિના શરીરનો રંગ ઘોર અંધકાર જેવો કાળો છે. માતાજી ગધેડા પર સવારી કરે છે. રૌદ્ર સ્વરૂપ ધરાવતું આ સ્વરૂપના વાળ છુટા હોય છે અને તેમની આંખમાંથી વીજળી ઝબુકતી હોય તેવુ ભાસે છે. ગળામાં એક માળા લટકતી જોવા મળે છે. ચારભુજાઓથી શોભાયમાન થયેલ કાલરાત્રિનું આ સ્વરૂપ દરેક ભક્તોને અભયદાન આપે છે. માતાજીનું સ્વરૂપ ભલે ભયાનક લાગતું હોય પરંતુ તેના દર્શન માત્રથી ભક્તોના તમામ દુ:ખ દુર થાય છે. એક એવી માન્યતા છે કે નવરાત્રિના સાતમા દિવસે ભક્તોનું મન સહ્સ્ત્રાર ચક્રમાં ફરતું હોવાથી આ દિવસે માતાજીની ઉપાસના કરવાથી બ્રહ્માંડની શક્તિઓ સાધકને પ્રાપ્ત થાય છે.