અમદાવાદ: દિવાળીના તહેવારોની ધામધૂમપૂર્વક ઉજવણીનો પ્રારંભ થઇ ગયો છે. ત્યારે આજે કાળી ચૌદશ છે. કાળી ચૌદશની રાત્રે સાધના-ઉપાસના-અઘોર ઉપાસનાનું ખૂબ જ મહાત્મ્ય છે. આ ઉપરાંત કાળી ચૌદશ નિમિત્તે રાજ્યભરના હનુમાનજીના મંદિરોમાં મહાઆરતી યજ્ઞા-હવન સહિતના ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
નરક ચતુર્દેશી તરીકે પણ ઓળખાતી કાળી ચૌદશમાં કરવામાં આવતી વિષ્ણુપુજા નરકમાંથી મુક્તિ અપાવતી હોવાની માન્યતા છે. શાસ્ત્રવિદોના મતે તંત્ર સાધના માટે કાળી ચૌદશ શ્રેષ્ઠ છે જેના કારણે હનુમાનજી તેમજ શનિદેવના મંદિરોમાં આજે પૂરી રાત દરમિયાન હોમ-હવન-અનુષ્ઠાન યોજાશે. ગાંધીનગર જિલ્લાના પ્રસિદ્ધ ડભોડિયા હનુમાનજી મંદિર ખાતે આજે કાળી ચૌદશના દિવસે શ્રદ્ધાળુઓ દ્વારા ડભોડિયા દાદાને પાંચ હજાર કિગ્રા તેલનો ભવ્ય અભિષેક કરવામાં આવશે.
ધનતેરસની રાત્રે ૧૨ વાગે દાદાની ૧૦૮ દિવાની મહાઆરતી ઉતારવામાં આવી હતી. ડભોડિયા હનુમાન ખાતે કાળી ચૌદશની ખૂબ જ મહાત્મ્ય હોવાથી સેંકડો શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. ધનતેરસના રાત્રે ૧૨ થી કાળી ચૌદશના રાત્રે ૧૨ એમ સતત ૨૪ કલાક ડભોડિયા દાદાનું મંદિરના દ્વારા ખૂલ્લા રહેશે. આ ઉપરાંત સાળંગપુર કષ્ટભંજન દેવ ખાતે પણ આજે કાળી ચૌદશ નિમિત્તે વહેલી સવારે ૫ વાગે ભવ્ય આરતી સવારે ૭ વાગે સમૂહ યજ્ઞા પૂજન સવારે ૯ વાગે પ્રસાદીની લાકડીનો અભિષેક અને સવારે ૧૧ઃ૩૦ વાગે દાદાનો ભવ્ય અન્નકૂટ યોજાશે.
અમદાવાદના શાહીબાગ કેન્ટોન્ટમેન્ટ વિસ્તારમાં આવેલા કેમ્પ હનુમાનજી મંદિરમાં કાળી ચૌદશ નિમિત્તે સવારે ૬ઃ૩૦ સવારે ૭ઃ૩૦ અને રાત્રે ૧૨ વાગે દાદાની ભવ્ય આરતી ઉતારવામાં આવશે. આ ઉપરાંત સવારે ૮ થી ૧૦ દરમિયાન સામુહિક હનુમાન ચાલિસા અને સુંદરકાંડના પાઠનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
પરંપરાપ્રેમીઓ પ્રતિષ્ઠિત જીવનયુદ્ધમાં પ્રતિસ્પર્ધીઓના હાથે પીછેહઠ કરવી પડે નહીં તે વિચારથી પ્રેરાઇને કાળી ચૌદશની રાત્રે આંખમાં મેશ આંજવાનું ચૂકશે નહીં. 'કાળી ચૌદશના આંજ્યા કોઇથી ના જાય ગાંજ્યા' તેવી આપણે ત્યાં કહેવત પણ છે.
કાળી ચૌદશ કકળાટ કાઢવાનું પણ મુહૂર્ત લઇને આવે છે. ગૃહિણીઓ તળેલા ખાદ્ય પદાર્થને ચાર રસ્તા પર મૂકી કજીયા-કકળાટને દૂર ભગાવશે. રોગ નિવારણ માટે કાળી ચૌદશે મહાકાલી માતાનો જાપ કરવામાં આવે છે. શનિદેવની પ્રતિકૂળતાને અનુકૂળતામાં પરિવર્તિત કરવા માટે કાળી ચૌદશે શનિમંત્રના જાપનો વિશિષ્ટ મહિમા છે. આધિ-વ્યાધિ-ઉપાધિના નિવારણ માટે દિવસ દરમિયાન હનુમાન ચાલિસાના યથાશક્તિ પાઠ કરવા જોઇએ.
શાસ્ત્રવિદોના મતે હનુમાનજીની મહાપૂજા મહામૃત્યંજયના જાપ કે જેમને શનિ મહારાજની નાની-મોટ પનોતી ચાલતી હોય તેમણે હનુમંતાય નમઃ અથવા યથાશક્તિ શનિમંત્રની ઉપાસના કરવી જોઇએ.