ગાંધીનગરઃ આત્મવિલોપન કરનાર ભાનુભાઈને સારવાર માટે અમદાવાદની એપોલો હોસ્પીટલમાં લવાયા છે. ત્યારે એપોલોની મુલાકાત દલીતનેતા અને ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ લીધી હતી. ડોક્ટરને મળ્યા બાદ મેવાણીએ પ્રતિક્રિયા આપી કે આ ઘટના ભાનુભાઈએ કંટાળીને લીધી છે. ભગવાનને પ્રાર્થના કરું છું કે ભાનુભાઈનો જીવ બચી જાય. સરકારે આ ઘટના બાદ ડૂબી મરવું જોઈએ. મેવાણીએ આ મામલો ગૃહમાં ઉપાડવાની વાત કરી છે.
તેમણે કહ્યું કે 96 ટકા બોડી બર્ન થઇ છે. તેમણે હતાશ થઇને આ પગલું ભર્યું છે. આ ઘટના બાદ સરકારે ડૂબી મરવું જોઇએ. હું મારી ભાષાને લગામ નહીં રાખી શકું. વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવીશે.
ઉલ્લેખનીય છે કે પાટણ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક દલિત આગેવાને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જમીન વિવાદને લઈને દલિત આગેવાને તંત્રના અધિકારીઓની સામે જ પોતાના શરીર પર કેરોસીન છાંટી અગ્નિ સ્નાન કરી લીધું હતું. જોકે સ્થાનિક લોકોએ આગને બુઝાવી ગંભીર રીતે દાઝી ગયેલ દલિત આગેવાનને તાત્કાલીક સારવારઅર્થે ખસેડવામાં આવ્યા હતા.
મહત્વનું છે કે દલિત આગેવાનની હાલત ગંભીર હોવાના કારણે તેને પાટણથી અમદાવાદ અપોલો હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. જોકે આ આત્મવિલોપનના પ્રયાસને લઈને માહોલ ગરમાયો છે. સ્થાનિક પ્રશાસન અને પોલીસ તંત્ર પર આક્ષેપો પણ લગાવાઈ રહ્યા છે. માહોલ એટલો ગરમાયો છે કે પાટણ જિલ્લા કલેક્ટર કચેરી આગળ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે.