જામનગર: દેશભરમાં જ્યારે સ્વચ્છતા અભિયાનને જોર આપવામાં આવી રહ્યું છે. ત્યારે જામનગર મહાનગરપાલિકાએ પેટ્રોલ પંપ પર શૌચાલય ફરજિયાત બનાવ્યું છે. અને જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવાશે.
જ્યાં પેટ્રોલ પંપ ત્યાં શૌચાલય. હવે પેટ્રોલ પંપ પર શૌચાલય ફરજિયાત થઈ ગયા છે. જો તમારા પેટ્રોલ પંપ પર શૌચાલય ન હોય તો ચેતી જજો. કારણ કે જો શૌચાલય નહીં હોય તો કરવામાં આવશે દંડાત્મક કાર્યવાહી.
દેશભરમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે આ જુંબેશને વધુ વેગવાન બનાવવા રાજકોટ બાદ જામનગર મહાનગરપાલિકાએ પણ પેટ્રોલ પંપ પર શૌચાલય ફરજિયાત બનાવવા માટે એક જાહેરનામું બહાર પાડયું છે. જેમાં તમામ પેટ્રોલ પંપ ધારકોને 15 દિવસમાં શૌચાલય ઉભા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. અને જો આ ફરમાનની અવગણના કરવામાં આવશે તો પેટ્રોલ પંપના માલિકો વિરુદ્ધ લેવાશે કાયદેસરના પગલાં. મહત્વનું છે કે પેટ્રોલ પંપ પર દરરોજ મોટી સંખ્યામાં ગ્રાહકોની અવર જવર રહેતી હોય છે. ત્યારે પેટ્રોલ પંપ પર શૌચાલય હોવા જરૂરી છે.
જામનગર મહાનગરપાલિકાએ પેટ્રોલ પંપ પર શૌચાલય બનાવવા માટે આદેશ આપ્યો છે. ત્યારે પેટ્રોલ પંપ ધારકો આ જાહેરનામાને ફાજલ ગણાવી રહ્યા છે. પંપ ધારકોનું કહેવું છે કે પેટ્રોલ પંપની મંજૂરી પ્રક્રિયામાં પીવાના પાણી અને શૌચાલય સહિતની મુળભૂત સવલતોને ફરજિયાત વણી લેવામાં આવે છે. અને આ સુવિધા ન ધરાવનારા વિરુદ્ધ કંપની દ્વારા 50 હજારના દંડની પણ જોગવાઈ છે. ત્યારે આ જાહેરનામાએ પંપ ધારકોમાં આશ્ચર્ય ઉભું કર્યું છે.
મહત્વનું છે કે પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની ખરીદી પર પ્રતિ લિટરે ક્રમશ 6 અને 4 પૈસાનો ચાર્જ વસૂલવામાં આવે છે. આ ચાર્જ પેટ્રોલ પંપ પર ટોયલેટ બનાવવા માટેનો હોય છે. પેટ્રોલ પંપ ફાળવવાની શરતોમાં શૌચાલય અને પીવાના પાણીની વ્યવસ્થાની શરતો ફરજીયાત છે. પરંતુ કેટલાક પેટ્રોલ પંપ ધારકો આ શરતોનું પાલન નથી કરતા. જેથી આવા પેટ્રોલ પંપ ધારકો વિરુદ્ધ કાર્યવાહી જરૂરી છે. ત્યારે મહાનગરપાલિકાના જાહેરનામાની કેટલી અસર થાય છે તે જોવું રહ્યું.