ગાંધીનગરઃ ભાજપના પ્રદેશ કારોબારીમાં વિરોધનો વંટોળ જોવા મળ્યો છે. કોંગ્રેસમાંથી આવેલા ધારાસભ્યોને લઈને ભાજપમાં આંતરિક ડખો ઉભો થયો છે. કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ સામે પક્ષમાં વિરોધના સૂર ઉભા થયા છે. ભાજપના હોદ્દેદારોએ કારોબારીમાં રજૂઆત કરી છે કે અન્ય પક્ષમાંથી આવેલા નેતાઓને ધારાસભ્યની ટિકિટ આપવામાં ન આવે. અને જો આવું થશે તો ભાજપના કાર્યકરોમાં અસંતોષ ફેલાવાનો ભય છે.
ભાજપના પ્રદેશ કારોબારીની બેઠકમાં એવી પણ રજૂઆત કરવામાં આવી છે કે પક્ષને વફાદાર હોય તેવા જ નેતાઓને ટિકિટ આપવામાં આવે. પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાયેલા નેતાઓને બોર્ડ નિગમના ચેરમેન બનાવવા માટે પણ સહમતિ બની છે.
મહત્વનું છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં 14 જેટલા ધારાસભ્યો જોડાયા છે. જેમને ભાજપે ટિકિટ આપવાની બાંહેધરી આપી હતી. જોકે પક્ષમાં થઈ રહેલા વિરોધના કારણે હાલ ભાજપની સ્થિતિ કફોડી બની હોય તેવું દેખાઈ રહ્યું છે.