ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ મામલે પાકિસ્તાન નરમ પડયું છે જોકે પાકિસ્તાનને આ સદબુદ્ધિ એમ જ નથી આવી. અમેરિકાના દબાણને કારણે પાકિસ્તાન ભારત સાથે વાટાઘાટો માટેના પ્રયાસો કરી રહ્યું છે અને એટલે જ 16 વાર ભારતની અપીલ ઠુકરાવનાર પાકિસ્તાને અચાનક જ કુલભૂષણ મામલે નમતું જોખી દીધું છે. ત્યારે આ સમગ્ર મામલે અમેરિકાની દરમિયાનગીરીનો ખુલાસો થયો છે.
પાકિસ્તાનમાં પ્રકાશિત એક રિપોર્ટ પ્રમાણે અમેરિકાના વિદેશમંત્રીએ પાકિસ્તાની વિદેશમંત્રાલય સાથે વાત કરી હતી. જેમાં તેમણે ટ્રમ્પ પ્રશાસન ઇસ્લામાબાદ અને નવી દિલ્લી વચ્ચે સમાધાન ઈચ્છે છે તેવી વાત કરી હતી.
આતંકવાદ મુદ્દે અમેરિકાના કડક અને ઉગ્ર વલણનો સામનો પાકિસ્તાન કરી ચૂકયું છે એવામાં અમેરિકાના વિદેશમંત્રાલયની આ ઈચ્છા ફગાવવી પાકિસ્તાનને પોસાય તેમ ન હતી. વળી આતંકવાદને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાન હવે ઉઘાડું પડી ગયું છે
ત્યારે વ્હાઇટ હાઉસનો આ સંદેશ ન પાળવો પાકિસ્તાન માટે ભારે પડી જાત અને એટલે જ પાકિસ્તાને આનન ફાનનમાં આવીને કૂલભૂષણ જાધવની પત્નીને મંજૂરી આપી હોવાનું કહેવાઈ રહ્યું છે.