નવી દિલ્હી : હાલમાં જ ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ અને એન્ટી કરપ્શન ગ્લોબલ સિવિલ સોસાયટીનાં જે આંકડાઓ સામે આવ્યા છે તે જોતા તો ભારત સરકાર દ્વારા નાગરિકોને જે સપના દેખાડવામાં આવ્યા છે તે પુરા કરતા હજી લાંબો સમય લાગી શકે છે તેવું લાગી રહ્યું છે. બંન્ને સંસ્થાઓ દ્વારા ભ્રષ્ટાચાર અંગે એક સંયુક્ત અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. આનું પરિણામ ઘણું જ ચોંકાવનારૂ હતું કારણે કે ભારત ભ્રષ્ટાચાર બાબતે એશિયાનાં તમામ દેશોમાં ટોપ પર રહ્યું હતું.
હાલમાં જ હાથ ધરાયેલા ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ નાં સર્વેમાં ભારતને એશિયાનો સૌથી ભ્રષ્ટ દેશ ગણવામાં આવ્યો હતો. ફોર્બ્સ દ્વારા આ યાદી પ્રકાશિત કરવામાં આવી હતી. જેમાં એશિયાનાં ટોપનાં પાંચ સૌથી ભ્રષ્ટ દેશોમાં સૌથી પહેલું ભારત ત્યાર બાદ વિયેતનામ થાઇલેન્ડ પાકિસ્તાન અને મ્યાનમારનો સમાવેશ થાય છે. ફોર્બ્સમાં પ્રકાશીત અહેવાલમાં દેશોને ભ્રષ્ટતાનાં આંક સાથે રજુ કરવામાં આવ્યું હતું.
જેમાં 69 પોઇન્ટ સાથે ભારત સૌથી ટોપ પર રહ્યું હતું. ફોર્બ્સ દ્વારા પ્રકાશિત યાદીમાં દાવો કરવામાં આવ્યો હતો કે જાહેર ક્ષેત્રનાં સરકારી ઉદ્યમો જેવા કે શાળા હોસ્પિટલ આઇડી ડોક્યુમેન્ટ્સ પોલીસ અને જીવન જરૂરિયાતની અન્ય સર્વિસમાં પોતાનું કામ કરાવવા માટે દેશનાં અડધો અડધ રિસ્પોન્ડન્ડ (સર્વેમાં ભાગ લીધેલા કુલ લોકો પૈકી અડધા લોકો) કોઇના કોઇ સ્વરૂપે લાંચ આપવી પડી હતી.
જો કે સરકાર દ્વારા હાલ ભ્રષ્ટાચાર વિરુદ્ધ અભિયાન ચલાવાઇ રહ્યું છે ત્યારે આ આર્ટિકલ બાદ સરકારને એક મોટો ઝટકો લાગી શકે છે. જો કે આ સર્વેમાં ભાગ લેનારા 53 ટકા લોકોનું માનવું હતું કે વડાપ્રધાન મોદી દ્વારા ભ્રષ્ટાચાર વિરુદ્ધ જે અભિયાન ચલાવાઇ રહ્યું છે તે યોગ્ય દિશામાં જઇ રહ્યું છે તેની અસર પણ પડી રહી છે. સરકારનાં પગલાનાં કારણે સામાન્ય માણસને ફાયદો પણ મળતો થયો છે.
ઉપરાંત 63 ટકા લોકોએ સ્વિકાર્યું કે આ સરકારે સામાન્ય માણસ પાસે પણ સત્તા હોવાનો અનુભવ કરાવ્યો છે. સામાન્ય માણસ સરકારનાં કાર્યકાળમાં ક્ંક અલગ હોવાનો અનુભવ કરી રહ્યો છે. જો કે ભારત પછી બીજા નંબર પર આવનાર વિયતનામ ભારતથી 4 જ પોઇન્ટ પાછળ એટલે કે 65 પોઇન્ટ સાથે બીજા નંબર પર રહ્યું હતું.
ભારતનાં કટ્ટર દુશ્મન અને પાડોશી પાકિસ્તાન 40 પોઇન્ટ સાથે ચોથા નંબર પર રહ્યું હતું. પાકિસ્તાનનાં ચોથા ભાગનાં લોકોએ સ્વિકાર્યું હતું કે તેમનો પોલિસ વિભાગ સંપુર્ણ રીતે ભ્રષ્ટ છે. પાકિસ્તાની નાગરિકોએ સ્વિકાર્યું કે તેમણે કાંતો પોલીસમાં કાં તો પછી કોર્ટમાં લાંચ ચુકવી છે. જો કે પાકિસ્તાનમાં ચોથા ભાગનાં લોકો જ માને છે કે સામાન્ય માણસ સાથે ન્યાય થાય છે અથવા તો તેઓ કંઇક નવું કરવા અથવા બદલી શકવા માટે સક્ષમ છે.