મુંબઇઃ મહારાષ્ટ્રના એક ગામમાં એક અજીવ કિસ્સો સામે આવ્યો છે. રાજ્યના જલગાવ જિલ્લાના નિમગવ્હાણ ગામમાં તાપી નદીના કિનારે રહેનાર એક વાંદરાનું દુર્ઘટનામાં મોત થયું હતું. આખા ગામે એક સાથે આવીને અંતિમ સંસ્કાર કર્યા. એટલુ જ નહીં દશક્રિયા વિધિ માટે ગામના લોકોએ પૈસા ભેગા કર્યા અને ભોજન આપ્યુ. 200 લોકોએ મુંડન કરી શોક પાળ્યો.
જોકે આ વાંદરો બે મહિના પહેલા તાપી નદીના કિનારે ક્યાંકથી આવ્યો હતો. નાના છોકરા અને ગામલોકો આ વાંદરાને ખાવા-પીવાનું આપતા હતા. વાંદરો પણ લોકોમાં હળીમળી ગયો હતો. આ વચ્ચે 2 ઓગસ્ટના રોજ રોડ દુર્ઘટનામાં તેનું મોત નિપજ્યું હતું. તેના અંતિમ સંસ્કારમાં આખુ ગામ સામેલ થયું. 10 દિવસ બાદ દશક્રિયા વિધિ માટે ગામના દરેક લોકોએ પૈસા જમા કરી ભોજનનું આયોજન કર્યુ અને 200 લોકોએ સામુહિક મુંડન કરાવ્યું.