ગાંધીનગર: ગુજરાતમાં ભાજપની રૂપાણી સરકારની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. તાજેતરમાં નારાજ થયેલા મત્સ્ય ઉદ્યોગ મંત્રી પુરુષોત્તમ સોલંકીને ગમે તે પ્રકારે મનાવી લીધા છે.તો હવે કેટલાક ધારાસભ્યોની મંત્રી પદની માગને લઈને નારાજ હોવાના અહેવાલ મળી રહ્યા છે.
સૂત્રોનું માનીએ તો 14 જાન્યુઆરી બાદ રાજ્યમાં મંત્રી મંડળનું વિસ્તરણ થઈ શકે છે.સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વિધાનસભામાં માત્ર 99 બેઠક મેળવનાર ભાજપની રૂપાણી સરકાર પહેલાથી જ દબાણમાં છે.તેવામાં ધારાસભ્યો પોતાની માગને પૂર્ણ કરવા માટે દબાણ કરી રહ્યા છે.જેથી 14 જાન્યુઆરી બાદ મંત્રીમંડળનું વિસ્તરણ શકય છે. મહત્વનું છે કે રાજ્યમાં 27 મંત્રી બની શકે છે..પરંતુ હાલ રાજ્યમાં 20 મંત્રી છે.જેમાં નવા 7 મંત્રીને સામેલ કરવામાં આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં ગુજરાતનાં ઉપમુખ્યમંત્રી અને ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા નીતિન પટેલ પોતાને સોંપવામાં આવેલ ખાતાને લઇને નારાજ થયાં હતા પરંતુ તેમને નાણાં ખાતું સોંપવામાં આવતાં તેઓ માની ગયા છે. ત્યારબાદ અન્ય મંત્રીઓ અને ધારાસભ્યો પક્ષ દ્વારા કરવામાં આવેલ અવગણનાને કારણે નારાજ થયાં હોવાનું ધ્યાને આવ્યું હતું.
આ તમામ ઘટનાને કારણે ગુજરાતની રૂપાણી સરકાર મુશ્કેલીમાં મુકાઇ ગઇ હોવાનું ધ્યાને આવ્યું હતું. જોકે હવે આવનારો સમય જ કહેશે કે 14 જાન્યુઆરી બાદ મંત્રીમંડળમાં વધારો કરવામાં આવે છે કે નહીં