ગાંધીનગરઃ ગુજરાતમાં સતત છઠ્ઠીવાર ભાજપની સરકાર બની છે. ત્યારે વિજય રૂપાણીએ ગાંધીનગરમાં બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા. તો 9 કેબિનેટ મંત્રીએ પણ શપથગ્રહણ કર્યા. સાથે જ 10 રાજ્યકક્ષાના મંત્રીએ પણ શપથ લીધા. આ સમારોહમાં પીએમ મોદી અમિત શાહ સહિત 18 NDA શાસિત રાજ્યના મુખ્યમંત્રીએ પણ ભાગ લીધો.
રૂપાણી રાજકોટની પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. વિજય રૂપાણી 2006થી 2012 સુધી રાજ્યસભાના સભ્ય હતા. આનંદીબેન પટેલ બાદ વિજય રૂપાણીને ગુજરાતની કમાન સોંપવામાં આવી હતી. આ વખતે વિજય રૂપાણીના નેતૃત્વમાં ભાજપે વિજય હાંસલ કર્યો છે. ત્યારે પાર્ટીએ પણ ફરીથી વિજય રૂપાણી પર વિશ્વાસ મુક્યો છે. રૂપાણી મંત્રીમંડળમાં 19 મંત્રીને સામેલ કરાયા છે. જેમાં 6 પાટીદાર નેતાને સ્થાન અપાયું છે.
બર્માના રંગુનમાં જન્મેલા વિજય રૂપાણીની રાજકીય સફર પર નજર કરીએ તો રૂપાણી રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે. 2016માં તેઓ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. જ્યારે રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા છે. ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે. રાજકોટ શહેરના મેયર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. તો હાલ વિજય રૂપાણી રાજકોટ પશ્ચિમથી ધારાસભ્ય છે.
નીતિન પટેલે ફરી એકવાર નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા. નીતિન પટેલ મહેસાણાથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. નીતિન પટેલ ભાજપના કદાવર પાટીદાર નેતા છે. વર્ષોથી રાજનીતિમાં હોવા છતાં સ્વચ્છ છબી ધરાવે છે. નીતિન પટેલ મહેસાણા જિલ્લાના કડીના વતની છે. તેમને સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે. 1990થી ભાજપમાં સક્રીય ભૂમિકા ભજવી રહ્યા છે.
નીતિન પટેલે રાજ્ય સરકારમાં અનેક મંત્રાલયો સંભાળ્યા છે. આ ઉપરાંત પાટીદાર આંદોલન સમયે સરકારી સમિતિના વડા બન્યા હતા. તો 2017ની ચૂંટણીમાં કટોકટી સમયે પણ મહેસાણાથી વિજેતા બન્યા છે. અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે કામગીરી સંભાળી.
આ ઉપરાંત વિજય રૂપાણી સરકારમાં 9 કેબિનેટ મંત્રીએ પણ શપથ ગ્રહણ કર્યા. જેમાં આર.સી. ફળદુએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. આર.સી. ફળદુ ભાજપના પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. તે પાટીદાર સમાજમાંથી આવે છે. તો ક્ષત્રિય સમાજમાંથી આવતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ શપથ લીધા. ભૂપેન્દ્રસિંહ ધોળકાથી ધારાસભ્ય છે.
કૌશિક પટેલે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. કૌશિક પટેલ નારણપુરાથી ધારાસભ્ય બન્યા છે. તો બોટાદ બેઠક પરથી ધારાસભ્ય બનેલા સૌરભ પટેલે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. આ પૂર્વે પણ સૌરભ પટેલ મોદી સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે.
કેબિનેટ મંત્રી
નીતિન પટેલ
આર.સી. ફળદુ
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
કૌશિક પટેલ
સૌરભ પટેલ
ગણપત વસાવા
જયેશ રાદડિયા
દિલીપ ઠાકોર
ઈશ્વર પરમાર
આ સાથે ગણપત વસાવાએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. વસાવા આદિવાસી સમાજમાંથી આવે છે. દક્ષિણ ગુજરાતના માંગરોળ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય બન્યા છે. તો રાજ્યમંત્રી રહી ચૂકેલા જયેશ રાદડિયાએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. રાદડિયા સૌરાષ્ટ્રની જેતપુર બેઠકથી ધારાસભ્ય છે.
તો દિલીપ ઠાકોરે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. દિલીપ ઠાકોર ચાણસ્મા બેઠક પર ધારાસભ્ય છે. ઓબીસી સમાજમાંથી આવે છે. પોતાના સમાજ પર મજબૂત પકડ ધરાવે છે. તો ઈશ્વર પરમારે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. ઈશ્વર પરમાર દલિત સમાજમાંથી આવે છે. અને સુરતની બારડોલી વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય બન્યા છે.
રાજ્યકક્ષાના 10 મંત્રીએ લીધા શપથ
કેબિનેટ મંત્રીની સાથે સાથે રાજ્યકક્ષાના 10 મંત્રીએ પણ શપથ ગ્રહણ કર્યા. પ્રદીપસિંહ જાડેજાએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા. તે ક્ષત્રિય સમાજમાંથી આવે છે. અમદાવાદની વટવા બેઠક પર ધારાસભ્ય છે. તો થરાદ વિધાનસભા બેઠકના ધારાસભ્ય પરબત પટેલ ભાવનગર ગ્રામ્ય બેઠકના ધારાસભ્ય પુરષોત્તમ સોલંકી આનંદીબેન સરકારમાં મંત્રી રહેલા બચુભાઈ ખાબડ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા. ખાબડ ઓબીસી નેતા તરીકે જાણીતા છે.
તો હાલોલના ધારસભ્ય જયદ્રથસિંહ પરમારે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા. જયદ્રથસિંહ ચાર ટર્મથી ધારાસભ્ય છે. આ ઉપરાંત અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલ અંજારના ધારાસભ્ય વાસણભાઈ આહિર ભાવનગર પૂર્વના ધારાસભ્ય વિભાવરીબેન દવેએ પણ શપથ ગ્રહણ કર્યા. તો ઉમરગામના ધારાસભ્ય રમણ પાટકર વરાછા બેઠકના ધારાસભ્ય કિશોર કાનાણીએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા. કાનાણી પટેલ સમાજમાંથી આવે છે. અને દક્ષિણ ગુજરાતમાં બીજી વખત ધારાસભ્ય બન્યા છે.
રાજ્યકક્ષાના મંત્રી
પ્રદિપસિંહ જાડેજા
પરબત પટેલ
પરસોત્તમ સોલંકી
બચુ ખાબડ
જયદ્રથસિંહ પરમાર
ઈશ્વર પટેલ
વાસણ આહિર
વિભાવરીબેન દવે
રમણ પાટકર
કુમાર કાનાણી
મહત્વનું છે કે હાલ તો 9 કેબિનેટ મંત્રી અને 10 રાજ્યકક્ષાના મંત્રીએ શપથગ્રહણ કર્યા છે. જોકે કયા મંત્રીને કયું ખાતું ફાળવવું તે અંગે કેબિનેટની બેઠક મળશે. ટૂંકસમયમાં વિજય રૂપાણીના મંત્રી મંડળને ખાતાની ફાળવણી કરવામાં આવી શકે છે.