ગાંધીનગરઃ રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં મગફળીનાં ટેકાના ભાવ ૯૦૦ રૂપિયા નક્કી કરતા ખેડૂતોની દિવાળી સુધરી છે. ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી જવા પામી હતી. ચાલુ સાલે વરસાદ સારો પડ્યો જેથી ખેડૂતોએ મગફળીનો પાકનું મબલક વાવેતર કર્યું હતું. મબલક વાવેતરની સાથે જો ખેડૂતોને મગફળીના ભાવ પણ પોષણક્ષમ મળે તો ખેડૂતોને પરવડે. જોકે ચાલુ વર્ષે હાલ મગફળીની લરણી ખેડૂતોએ ચાલુ કરી દીધી છે.
હાલ મગફળીનાં મુખ્ય જાતોમાં ૨ નંબર અને ૨૦ નંબરનું વાવેતર વધારે જોવા મળતું હોય છે. હાલ ખેડૂતોને વીઘે ૨૦ મણથી ૨૮ મણ સુધીનો ઉતારો મળી રહ્યો છે. સામે દિવાળી આવી રહી છે ત્યારે રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં જે મગફળી ૬૦૦-૭૦૦ રૂપિયે મણ વેચાતી હતી જેનો સરકારે ટેકાનો ભાવ ૯૦૦ રૂપિયા બાધતા ખેડૂતોને આર્થિક ફાયદો થતા ખેડૂતોની દિવાળી સુધરી છે. જોકે ખેડૂતોનું માનવું છે કે સરકાર તમામ પાકો ટેકાના ભાવથી ખરીદે તો વેપારીઓ દ્વારા થતું ખેડૂતોનું શોષણ અટકે અને ખેડૂતોને આર્થિક ફાયદો થાય.
સાબરકાઠા જીલ્લામાં ચાલુ સાલે ૪૮ ૫૦૦ હેક્ટરમાં મગફળીના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. ગયા વર્ષે જીલ્લાના ૬ સેન્ટર ઉપર ૮૪૪ રૂપિયા મણનાં ટેકાના ભાવે સરકારે ૬૧ કરોડ રૂપિયાની મગફળીની ખરીદી કરી હતી. જે મગફળીનો ટેકાનો ભાવ વધારી સરકારે મણે ૯૦૦ રૂપિયા કર્યો છે. જેની ખરીદી લાભ પાચમથી ચાલુ કરવામાં આવશે. સાથે સરકારે ખેડૂત સિવાયનો કોઈ વ્યક્તિ ટેકાના ભાવનો લાભનાં લઇ જાય તે માટે મગફળી વેચવા આવતા ખેડૂતે ૭/૧૨ અને ૮અનાં ઉતારા તેમજ તલાટીનો મગફળી વાવ્યાનો દાખલો તેમજ કે.વાય.સી દસ્તાવેજો લઇને ખેડૂત સરકારે નક્કી કરેલા કેન્દ્રો ઉપર વેચાણ કરી શકશે. સાથે ખેડૂતે વેચાણ કરેલ મગફળીનાં પૈસા ખેડૂતના ખાતામાં જ ટ્રાન્સફર કરવામાં આવશે જેથી કાળા બજારી પણ અટકે.
હાલ તો સરકારે મગફળીની સાથે કપાસ પણ ટેકાના ભાવથી ખરીદી કરવાની જાહેરાત કરતા ખેડૂતોની દિવાળી તો સુધરી છે સાથે બજારમાં વેપારીઓએ પણ ૯૦૦ રૂપિયા આસપાસનાં ભાવે મગફળી ખરીદવાની શરુ કરી દેતા ખેડૂતોની આંખોમાં ખુશીની લાગણી ચોક્કસ જોવા મળી રહી છે.