કચ્છ: કચ્છની 6 પૈકી 1 બેઠક પર ભાજપે ઉમેદવારી જાહેર કર્યા બાદ ભાજપમાં ચિંતા વધી છે. હવે બાકી રહેલી 5 બેઠકો પર ભાજપના કાર્યકરો તેમજ અગ્રણીઓએ ટિકિટ માટે દાવેદારી કરી છે. જેને લઇને ભાજપના પ્રદેશ નેતાઓ મુંઝવણમાં મુકાયા છે. સાથે જ બેઠકનો દોર શરૂ કર્યો છે. કચ્છમાં ભાજપ નેતાઓને એવો પણ ડર છે કે વધતા અસંતોષને કારણે પક્ષમાંથી જ કોઇ અપક્ષ ઉમેદવારી જાહેર કરી શકે છે. પક્ષમાં અંદરોઅંદરનો વિરોધ અને અસંતોષને કાબૂમાં લઇ સંગઠિત કરવા કચ્છ ભાજપ પ્રદેશ નેતાઓએ કમર કસી છે.
પ્રદેશ સ્તરેથી થયેલા આદેશો બાદ ભુજ દોડી આવેલા નેતાઓએ વિવિધ લોકોને મળી અંતિમ સ્થિતિની જાણકારી મેળવી હતી. કાર્યકરો અને અગ્રણીઓ અને અગ્રણીઓ તથા ટિકિટના દાવેદારો વચ્ચેની હુંસા-તુંસી અને એકમેકને પાછળ રાખી દેવાની હરીફાઈ ના કારણે ઉદ્દભવેલા અસંતોષ તથા વિરોધની પરિસ્થિતિ ને થાળે પાડવા અને ઠારવા માટે ભાજપના પ્રદેશ નેતા કે.સી.પટેલ પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જેન્તી ભાનુશાલી તેમજ પ્રદીપસિંહ વાઘેલા અચાનક ભુજ દોડી આવ્યા હતા. આ આગેવાનોએ ગુપ્ત રીતે ભુજમાં વિવિધ લોકો સાથે બેઠકો યોજી હતી. તેમની પાસેથી વર્તમાન સ્થિતિનો ક્યાસ મેળવ્યો હતો. ભારોભાર અસંતોષ સાથેના માહોલને અનુભવ્યો હતો.
આમ કચ્છની 6 બેઠકો પૈકી એકમાત્ર અંજાર બેઠક માટે વાસણભાઇ આહીર ની ટિકિટ જાહેર કરીને પક્ષના મોવડીઓએ પ્રત્યાઘાત બાબતે રિહર્સલ કર્યું હતું. આ ટેસ્ટ કેસ બાદ બાકીની બેઠકો માટે શું કરવું તેની ગૂંચ ઉકેલવા પ્રદેશ નેતાઓને છેલ્લી ઘડીનો ધક્કો થયો હતો. આ મુલાકાત દરમિયાન અસંતોષને લઈને પક્ષમાંથી જ અપક્ષ ઉમેદવારી થાય તેવા અણસારનો પણ પ્રદેશ નેતાઓને અનુભવ થયો હોવાનું જાણવા મળે છે. ત્યારે આગામી કચ્છમાં ટિકિટ મુદ્દે કેવો માહોલ સર્જાશે તે જોવુ રહ્યું.