રાજકોટઃ કેન્દ્ર દ્વારા જીએસટી લગાવાયા બાદથી વિદેશ વેપારમાં અડચણો ઉભી થતા ઠપ્પ થયો છે. જૂલાઇથી જીએસટી અમલમાં આવ્યું ત્યારબાદથી વિદેશ માલની નિકાસ કરવા માટે નવું રજીસ્ટ્રેશન જરૂરી છે પરંતુ આજદિન સુધી નવા રજીસ્ટ્રેશન મળ્યા ન હતા. જ્યારે હવે કંપની રજીસ્ટ્રેશન થઇ ગયા છે તો સર્વર ડાઉનના પ્રોબ્લેમ ઉભા થયા છે અને રીટર્ન ભરી શકાતા નથી.
પરિણામે વેપારીઓની દિવાળી બગડી છે. ''તેવો અભિપ્રાય રાજકોટના મશીનટુલ્સ ગારમેન્ટ સહિતનાં ધંધાર્થીઓએ આપી વિદેશ વેપાર ઠપ્પ થઈ ગયો હોવાને કારણે દિવાળીના તહેવારોમાં આર્થિક મંદીનું મોજુ ચારેબાજુ ફરી વળ્યું હોવાનું જણાવ્યું હતું.
ગુજરાત સૌરાષ્ટ્રના અલગ અલગ શહેરોમાં દર વર્ષે મગફળી કપાસ ઘઉં સહિતના ઉત્પાદનોનું નિકાસનું રૂપિયા 10 હજાર કરોડનું વિદેશી વેપાર બજાર રહ્યું હતું. પરંતુ જીએસટી બાદથી નિકાસ કરેલ વસ્તુઓ પર ટેક્સ માફી હતી તે બંધ કરાઇ છે. જેથી જૂલાઇ બાદથી સરકારમાં 95 હજાર કરોડની આવક થઇ છે જેમાં 65 હજાર કરોડનું રીફંડ આપવાનું થાય છે. જે હજુ સુધી મળ્યું નથી. જેના કારણે નાણાંનો મોટો પ્રવાહ સરકારી ચેનલોમાં અટવાય ગયો છે.
દિવાળી સુધીમાં આ નાણાં ફરી બજારમાં નહીં આવે તો મંદીનો માર પડે તેવી શક્યતાઓ છે. અને દિવાળી સમયે નાણાં ફસાયેલા રહે અને નાણાંના અભાવે વેપારીઓની બગડે તેવી શક્યતાઓ છે.