નોટબંધીને એક વર્ષ પૂર્ણ થયા બાદ બ્લેક મની અને ભ્રષ્ટાચારને દેશમાં જડમૂળથી ખતમ કરવા માટે કેન્દ્ર સરકારે સામાન્ય જનતા પાસે સૂચનો માંગ્યા છે. આ સૂચનો પર માત્ર કેન્દ્ર સરકાર અમલ જ નહીં કરે પરંતુ તમને ઇનામ પણ આપશે.
આ સૂચનો મોકલવા માટે તમારે થોડા ક્રિએટિવ થવું પડશે કારણ કે સૂચન માંગવા અને આ પગલાંથી શું ફરક પડશે એને કહેવાની રીત થોડીક અલગ છે. તમારે 30 નવેમ્બર સુધી આ સૂચન અને તમારા વિચારો કેન્દ્ર સરકાર પાસે મોકલવા પડશે.
કેન્દ્ર સરકારની વેબસાઇટ www.mygov.in પર આપવામાં આવેલી જાણકારી અનુસાર બ્લેક મનીનો પ્રસાર અને ભ્રષ્ટાચાર રોકવા માટે જનતા માટે સૂચનો માંગ્યા છે. એના માટે થીમ બેસ્ડ ચાર કેટેગરી છે જેના હેઠળ તમારે તમારું આવેદન મોકલવાનું છે.
પ્રત્યેક કેટેગરીમાં આવનાર બેસ્ટ 8 આઇડિયાને ઇનામ તરીકે રોકડ પ્રાઇઝ આપવામાં આવશે. એમાં પહેલું ઇનામ 2 લાખ રૂપિયા બીજું ઇનામ એક લાખ અને ત્રીજું ઇનામ 50 હજાર રૂપિયાનું છે. એનાથી વધારે 5 અન્ય લોકોને 25 હજાર રૂપિયાનું સાંત્વન પુરસ્કાર આપવામાં આવશે.
પહેલી કેટેગરીમાં 1200 શબ્દોનો નિબંધ લખવો પડશે. એમાં હરિફો સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા બ્લેક મની અને ભ્રષ્ટાચારને રોકવા માટે પગલાની જાણકારી આપવા ઉપરાંત પોતાના પણ આઇડિયા આપી શકે છે. નિબંધ લખ્યા બાદ એને પીડીએફ ફોર્મેટમાં સબમિટ કરવો પડશે. નિબંધ હિંદી અથવા અંગ્રેજી ભાષામાં ટાઇપ અથવા હાથથી લખવો પડશે. આ ઉપરાંત બીજી કેટેગરીમાં કાર્ટૂન પોસ્ટર કેરિકેચર અથવા આર્ટવર્ક દ્વારા પણ એમાં ભાગ લઇ શકો છો.
આ ઉપરાંત તમારી પાસે જોરદાર કેમેરો અથવા સ્માર્ટફોન હોય અને વીડિયો એડિટીંગ માટે જાણકાર હોવ તો 4 મિનીટની સમયમર્યાદામાં વીડિયો બનાવીને પણ મોકલી શકો છો. વીડિયો બનાવ્યા બાદ યુટ્યુબ પર અપલોડ કરવો પડશે અને એની લિંક સાઇટ પર મોકલવી પડશે. વીડિયોની સ્ક્રિપ્ટ હિંદી અથવા અંગ્રેજી હોવી જોઇએ.