ચુંટણીના પડઘમ વાગવાની શરૂઆત થઇ ગઇ છે ત્યારે ભાજપ દ્વારા પાટીદાર આંદોલનનો અંત લાવવા ખાસ પ્રયાસ કરવામાં આવ્યો છે. ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલની આગેવાની હેઠળ સરકારના પક્ષવતી પાટીદાર સમાજની મહત્વની ગણાંતી 6 સંસ્થાઓના ટ્રસ્ટીઓ સામાજિક આગેવાનો અને આંદોલનકારી સંસ્થા PAAS અને SPGના હાર્દિક પટેલ અને લાલજી પટેલને મુલાકાત માટે આજે ખાસ આમંત્રણ આપ્યુ્ છે. આ બેઠકમાં વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવશે.
ગાંધીનગર ખાતે યોજાનાર આ બેઠકમાં કન્વીનરો સહિત આશરે100 જેટલા પાટીદાર અગ્રણીઓ સરકાર સાથે કેટલાક મુદ્દે બેઠક યોજશે . જોકે બેઠક પહેલા હાર્દિક પટેલે એક ચીમકી ઉચ્ચારી હતી કે જો ભાજપના પ્રદેશ પ્રમુખ વાઘાણી કે પછી કોઈ પણ હોદ્દેદાર બેઠકમાં હાજર રહેશે તો ચર્ચા રદ્દ કરી દેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર તરફથી પાસને આમંત્રણ મળ્યા પછી ગાંધીનગરમાં પાસના આગેવાનોની મીટિંગ યોજાઇ હતી. આ મીટિંગ પછી પાસના નેતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે સરકાર સાથે મંત્રણાથી સમાજને ફાયદો થાય તેમાં પાસને રસ છે. જોકે આજે બેઠક મળે પછી શું નિર્ણય આવે છે તે સમય જ કહેશે.