માં આધ્યાશક્તિ ની આરાધના નું પર્વ એટલે નવરાત્રી. વઢવાણ શહેરના વાઘેશ્વરી મંદિરના સાનિધ્યમાં અંદાજે 200 વર્ષ કરતા પણ જૂની એવી વાઘેશ્વરી ચોકની ગરબી બ્રાહમણની ગરબી તરીકે ઓળખાય છે. સમગ્ર ભારતમાં આ ગરબી આજે પણ વિશેષ મહત્વ ધરાવે છે. અહીં માત્ર પુરુષો અને યુવકો જ કોઈપણ જાતના ભેદભાવ વગર માં ના પ્રાચીન ગરબા ગાઇ છે. જયારે અહીં તિથિ પ્રમાણે અલગ-અલગ ગરબાઓ જેમ કે પ્રથમ નોરતે આરાસુરી બીજા નોરતે વાઘેશ્વરી માતા ત્રીજા નોરતે સહાય કરો આરાસુરી ચોથે નોરતે શંકર વિવાહ એમ અલગ-અલગ ગરબાઓ ના તાલે પુરુષો ગરબે રમે છે.
વઢવાણના રાજા પણ આ ગરબી જોવા આવતા હતા એવું કહેવાય છે. કોઈપણ જાતના ડેકોરેશન સાઉન્ડ વગર અહીં પુરુષો ગરબે રમે છે. જયારે ત્રણ-ત્રણ પેઢી એક સાથે ગરબે રમતા નજરે પડે છે અને આજની નવી પેઢી પણ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી આ ગરબીને વારસાગત રીતે શરુ રાખવા માંગે છે.
અહીં ગરબા રમતા-રમતા વૃધ્ધો પુરુષો અને યુવાનો એક તાલી ત્રણ તાલી દોઢિયુ પંચીયુ સહીત અલગ-અલગ સ્ટેપ અને લયમાં ઝૂમી ઉઠે છે. જ્યારે આઠમનો ગરબો સૌથી લાંબો ચાર કલાક સુધી ચાલે છે. માત્ર પુરુષો જ નહિ પરંતુ વૃધ્ધો પણ મન મુકીને ગરબે રમી માં ની આરાધના માં લીન થઇ જાય છે.આજના આધુનિક યુગમાં આજે પણ આ ગરબી ભારતની સંસ્કૃતિને ઉજાગર કરે છે.