કોઈપણ ધર્મકાર્યની શરૂઆત કરવાની હોય ત્યારે ભગવાન શિવના પુત્ર ગણેશને અચૂક યાદ કરવામાં આવતા હોય છે. ગણેશ પૂજનનો મુખ્ય હેતુ નવા કાર્યની શરૂઆત કરવા જઈએ છીએ તો ક્યારેય આ કાર્ય દરમિયાન અડચણ ના આવે અને કાર્ય શાંતિપૂર્વક રીતે પૂર્ણ થાય. આમ ભગવાન ગણેશને વિઘ્નહર્તા દેવ તરીકે હિન્દૂશાસ્ત્રોમાં પૂજવામાં આવે છે. આ વિઘ્નહર્તા દેવનું સ્મરણ માત્ર કાર્યમાં સફળતા અપાવનારું છે. વિઘ્નહર્તાની ઉપાસનાનો ખાસ દિવસ એટલે ગણેશ ચતુર્થી.
ગજાનન ગણપતિને પ્રિય વાર મંગળવાર છે. તેમનો પ્રિય માસ છે ભાદરવો. તેમને જાસૂદનું પુષ્પ તથા સફેદ દૂર્વા ખૂબ પ્રિય છે. વાહન મૂષક ધરાવે છે. તેમનો પ્રિય આહાર કે ભાવતું ભોજન મોદક છે. સુદ તથા વદ ચોથ મહિના દરમિયાન બે વખત આવે છે. સુદ ચોથને વિનાયક ચોથ તથા વદ ચોથને સંકષ્ટી ચોથ કહે છે. મંગળવારને સુદમાં આવતી વિનાયક ચોથને અંગારકી વિનાયક ચતુર્થી કહે છે. વદમાં મંગળવારે આવતી ચોથને અંગારકી સંકષ્ટી ચતુર્થી કહે છે. ચોથનો ચંદ્ર ઊગે ત્યારે પ્રાતઃકાળે ઊઠી પ્રાતઃકર્મો પતાવી દેવસેવા ગણેશસેવા કરી લેવી. ગણેશજીનાં ૨૧ નામનો જાપ ૨૧ વખત કરવો. ગણેશઅથર્વશીર્ષનો પાઠ કરવો. ૐ ગં ગણપતયૈ નમઃ મહામંત્રની ૩ ૫ કે સાત માળા કરવી. તેમને મોદકનો પ્રસાદ ધરાવવો ગોળ ઘી પણ ધરાવી શકાય. આમ કરવાથી તેઓ પ્રસન્ન થાય છે.
જો કોઈ ગણેશ ભક્ત સુદ તથા વદમાં આવતી બંને ચોથ કરે નિયમિત જીવન જીવે ભક્તિથી તેમના સ્તવન ગાય તો ગણેશજી જે તે ભક્ત ઉપર ખૂબ પ્રસન્ન રહે છે. તેનાં વિઘ્ન દૂર કરે છે જો કોઈ ગણેશ ભક્ત દરરોજ અથવા પ્રત્યેક ચોથના દિવસે ગણેશજીને લાલ પાકું દાડમ ધરાવે તો ગણેશજી રાજીથઈ જાય છે.આજના દિવસે ગણપતિના દરેક મંદિરમાં ભાવિક ભક્તો મોટા પ્રમાણ માં ઉમટી પડે છે.