કોંગ્રેસને વધુ એક ફટકો પડયો છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂકેલા નારાયણ રાણેએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. મહારાષ્ટ્ર કોંગ્રેસમાં છેલ્લા ઘણા સમયથી ખેંચતાણની સ્થિતિ છે. BMC ચૂંટણી બાદ પાર્ટીમાં રાજ્ય સ્તરે અનેક ફાંટા પડી ગયા છે. નારાયણ રાણે ભાજપમાં જોડાય તેવી શક્યતા છે.
રાણેના રાજીનામાથી મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે. શિવસેનાએ રાણેના રાજીનામાને ડ્રામા ગણાવ્યો છે. આ પૂર્વે રાણેએ ગણેશ ઉત્સવ દરમિયાન અમદાવાદમાં અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. ત્યારથી તેમના ભાજપમાં જોડવાવા અંગેની અટકળો ચાલી રહી છે. તો આ તરફ કોંગ્રેસ રાણેની વિધાન પરિષદની સભ્યતા રદ કરવાની પ્રક્રિયા શરૂ કરી શકે છે. રાણેએ રાજીનામા સાથે પાર્ટીને ધમકી પણ આપી છે.
રાણેએ પત્રકાર પરિષદમાં કહ્યું કે કોંગ્રેસને મારો ઉપયોગ કરતા ન આવડયું કોંગ્રેસ એક પાર્ટી તરીકે વિકસીત થવા માટે તૈયાર નથી. રાણેએ બળાપો કાઢતા કહ્યું કે કોંગ્રેસ મને શું કાઢશે હું જાતે પાર્ટીમાંથી રાજીનામું આપું છું. હવે કોંગ્રેસને મારું મહત્વ ખબર પડશે. રાણે એ દાવો કર્યો કે મારી સાથે અનેક લોકો છે અને હું મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને શિવસેના બંનેનો સફાયો કરી દઈશ.