રાજકોટ: પ્રધાનમંત્રી નરેદ્ર મોદી બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદી ચોટીલાની પણ મુલાકાત લેવાના છે. ત્યારે રાજકોટ પોલીસ કમિશનર અને ATSને આતંકી હુમલાના ઈનપુટ મળ્યા છે.
ચોટીલામાં પીએમ મોદી પર આતંકી હુમલો થવાના ઈનપુટ મળતાં જ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. રિપોર્ટને પગલે સ્પેશિયલ અધિકારીની એક ટીમ ચોટીલા પહોંચી ગઈ છે. જ્યારે ગાંધીનગરથી 7 SPને ચોટીલામાં તૈનાત કરી દેવામાં આવ્યા છે. ગુપ્તચર વિભાગ પણ પીએમ મોદીને સુરક્ષા કવચ પૂરુ પાડવા માટે ખડે પગે છે.
નોંધનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસ એટલે કે આવતી કાલે 7 અને 8મી ઓક્ટોબરના ફરી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ જામનગર ખાતે પહોંચશે. જે બાદ જામનગરથી ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે જશે. ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા બાદ પ્રધાનમંત્રી મોદી બેટદ્વાકરા જશે. જ્યાં બેટદ્વારકા બ્રિજનું ખાતમુહૂર્ત કરશે. જે બાદ હિરાસર ખાતે રાજકોટના નવા એરપોર્ટનું ભૂમિપૂજન પણ કરશે. એરપોર્ટનું ભૂમિપૂજન કર્યા બાદ બપોરે 2 વાગ્યે ચોટીલા ખાતે જાહેરસભાને પણ સંબોધીત કરશે.
ચોટીલાથી પ્રધાનમંત્રી મોદી સાંજે ગાંધીનગર પહોંચશે. જ્યાં IITના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે. રાજભવન ખાતે રાત્રી રોકાણ કર્યા બાદ 8 ઓકટોબરે વડનગર ખાતે હોસ્પિટલનું લોકાર્પણ કરશે. જે બાદ બપોરના ભરૂચ ખાતે 4500 કરોડના ખર્ચે બનનારા પ્રોજેકટનું ખાતમુહૂર્ત કરશે જ્યારે દહેજના ભાડભૂત ખાતે કોઝવે-વિયરનું ખાતમુહૂર્ત કરશે. જે બાદ પ્રધાનમંત્રી મોદી વડોદરાથી સાંજે દિલ્લી જવા રવાના થશે.