ગત તારીખ 8 સપ્ટેમબરના રોજ અમદાવાદ શહેરના ચાંગોદરની દિવ્યપથ શાળાના બાળકોને લઇ જતી એક બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત થતાં કેટલાય વિદ્યાર્થીઓને ભારે ઇંજા પહોંચતા તાત્કાલિક અસરથી સારવાર અર્થે મોકલાયા હતા જેમાં આજે એક વિદ્યાર્થી તીર્થ પટેલનું સારવાર દરમિયાન અવસાન થતાં પરીવારમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી.
ઉલ્લેખનીય છે કે આ અકસ્માતને પગલે વિદ્યાર્થીઓ ચીસાચીસ સાથે રોકકળ કરી મુકી હતી. અકસ્માતમાં બસમાં બેઠેલા 23 પૈકી 22 વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં ત્રણ વિદ્યાર્થી અને બસનો ડ્રાઈવર ગંભીરપણે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતને પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં વિદ્યાર્થીઓને હોસ્પિટલ ખસેડવામાં મદદ કરી હતી. આ અંગે જાણ કરાતા ચાંગોદર પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. બાદમાં વિદ્યાર્થીઓને બે એમ્બ્યુલન્સ અને બે પોલીસના વાહનોમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા.
આ ઘટનાને પગલે અમદાવાદના લોકોએ ઝાયડસ હોસ્પીટલ ખાતે પહોંચીને 70 થી વધુ લોહીની બોટલ આપી ઇજાગ્રસ્ત થયેલ બાળકોને મદદ કરી હતી.