ચેન્નઈ સુપર કિંગ્સના કપ્તાન મહેન્દ્રસિંહ ધોની હાલ ચેન્નાઇમાં છે. ગુરુવારે એક કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ રવિચંદ્રન અશ્વિનને આઈપીએલની હરાજી વખતે ટીમમાં લેવાનો પ્રયત્ન કરશે. ખેલાડીઓની હરાજી બેંગ્લોરમાં 27 અને 28 જાન્યુઆરીના યોજાશે.
ચેન્નઈએ મહેન્દ્રસિંહ ધોનીને (રૂ. 15 કરોડ) સુરેશ રૈનાને (11 કરોડ રૂપિયા) અને રવીન્દ્ર જાડેજાને (રૂ .7 કરોડ) રિટેન કર્યાં હતા. 2013માં સ્પોટ ફિક્સિંગને લીધે ચેન્નઈ સુપર કિંગ્સ બે વર્ષના પ્રતિબંધ બાદ આઈપીએલમાં પરત ફરી રહી છે.
ધોનીએ એક પ્રમોશનલ પ્રોગ્રામની વચ્ચે કહ્યું હતું કે આ નિર્ણય હંમેશાં ખુબ અઘરો હોય છે. અશ્વિન સાથે અમે આવું એક વાર પહેલા પણ કરી ચુક્યા છે. અમે અશ્વિનને હરાજીમાં લાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરીશું. ધોનીએ જણાવ્યું હતું કે અશ્વિન સ્થાનિક ખેલાડી છે અને અમે ઇચ્છીએ છીએ કે સ્થાનિક ખેલાડીઓ અમારી ટીમનો હિસ્સો બની રહે.
તેમણે કહ્યું હતું કે "અમારી પાસે 2 રાઈટ-તો-મેચ વિકલ્પ છે પણ અમે 3 ભારતીય ખેલાડીને રિટેન કરી ચુક્યા છે. જો કે અમે બધાને વાપરી શકશું નહીં આવી પરિસ્થિતિ ના લીધે અમારે આ ખેલાડીઓને હરાજીમાં ખરીદવા પડશે."
ધોનીએ ચેન્નાઇ ટીમને ટેકો આપવા બદલ ચાહકોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું "અમારી સૌથી મોટી તાકાત અમારા ચાહકો છે. જ્યાં પણ અમે રમવા ગયા ત્યાં ચેન્નાઇને પુષ્કળ ટેકો મળ્યો. અમે છેલ્લાં બે વર્ષથી આઈપીએલ રમ્યા નથી છતાં પણ ચાહકોની સંખ્યામાં વૃદ્ધિ થતી રહી છે."
ઉલ્લેખનીય છે કે યુવરાજ સિંહ ક્રિસ ગેલ જો રૂટ અને શેન વોટસન જેવા 1122 ખેલાડીઓએ આઇપીએલની હરાજીમાં માટે રજીસ્ટર કર્યું છે. આ હરાજી બેંગ્લોરમાં 27મી અને 28મી જાન્યુઆરીના રોજ થશે. આમાં ગૌતમ ગંભીર આર અશ્વિન અજિંક્ય રહાણે કુલદીપ યાદવ મુરલી વિજય અને કે. એલ. રાહુલ માટે પણ બોલી બનશે.
આ યાદી તમામ આઠ આઇપીએલ ટીમોને મોકલવામાં આવી છે જેમાંથી 281 ખેલાડીઓ ભારત માટે રમ્યા છે જ્યારે 838 નવા ખેલાડીઓ છે. આમાં 778 ભારતીયો અને ત્રણ એસોસિયેટ દેશોના ખેલાડીઓ શામેલ છે.