જામનગર: ગોંડલમાં મગફળીના ગોડાઉનમાં આગ લાગવાના મામલે વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ રાજ્યપાલને પત્ર લખ્યો છે.રિબડિયાએ રાજ્યપાલને પત્ર લખતાં CID ક્રાઈમની ચાલી રહેલી તપાસ પર સવાલો ઉઠાવ્યા છે. સાથે જ તેમણે લખ્યું છે કે મગફળીના ગોડાઉનમાં આગ લાગવા મામલે નિર્દોષ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આ પત્રમાં તેમણે લખ્યું હતું કે આ સમગ્ર કૌભાંડને દબાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.આ સાથે રિબડિયાએ આ સમગ્ર ઘટનાની હાઈકોર્ટના સીટીંગ જજ દ્વારા તપાસ કરવવાની માગ કરી છે.
મહત્વનું છે કે થોડા દિવસો પહેલા ગોંડલમાં મગફળીના ગોડાઉનમાં આગ લાગી હતી.જેમાં કરોડોની મગફળી ખાક થઈ ગઈ હતી.જે બાદ આ સમગ્ર ઘટનાની તપાસ CIDને સોંપવામાં આવી હતી.જેમાં વેલ્ડિંગના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું હતું.
આપને જણાવી દઇએ કે રાજકોટ નજીક આવેલ ગોંડલ તાલુકામાં રહેલા સરકારી ગોડાઉનમાં પડેલી લાખો ટન મગફળીના જથ્થામાં આગ ભભૂકી ઉઠવાને કારણે કરોડો રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતુ અને આ ઘટનાને લીધે તંત્ર સાબદું થયું હતુ અને તપાસ હાથ ધરી હતી જો કે આ ઘટના પાછળ કોઇ મોટું ષડયંત્ર છૂપાયું હોવાની રાવ ઉઠવા પામી હતી.