જૂનાગઢઃ ભવનાથમાં યોજાયેલા મહાશિવરાત્રીના મેળાનું સમાપન થયું છે. રાત્રે જૂના અખાડા ખાતેથી શ્રી પંચ દશનામ જૂના અખાડા આવાહન અને અગ્નિ અખાડાના સાધુસંતો તથા નાગા સાધુઓની ધર્મધ્વજા તથા અખાડાનું પ્રતિનિધિત્વ કરતા ધર્મદંડ સાથે વાજતે-ગાજતે રવેડીનો પ્રારંભ થયો હતો.
જેમાં નાગા સાધુઓએ અંગકસરત લાઠીદાવ તલવારબાજી ગદા સહિતના હથિયારો વડે વિવિધ કરતબો કર્યા હતા. જેને જોઈ ઉપસ્થિત સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
જૂના અખાડા ખાતેથી શરૃ થયેલી રવેડી ભવનાથ મંદિર મંગલનાથજી આશ્રમ દતચોક ટૂરિઝન ગેટ રૃપાયતન ત્રણ રસ્તા લાલબાપુની જગ્યા આપાગીગાનો ઉતારો ભારતીબાપુના આશ્રમ નજીકથી થઈ પરત ભવનાથ મહાદેવ મંદિરે પહોંચી હતી.
જ્યાં સાધુ-સંતોએ પવિત્ર મૃગીકુંડમાં સ્નાન કર્યું હતું. પછી ભવનાથ મહાદેવ મંદિર ખાતે મહાઆરતી થઈ હતી. ત્યારબાદ પાંચ દિવસીય મહાશિવરાત્રી મેળાની પૂર્ણાહુતિ થઈ હતી. 5 દિવસ સુધી ચાલેલા મેળામાં અંદાજે છ લાખ લોકોએ લ્હાવો લીધો હતો.