સુરતઃ સમગ્ર દેશમાં ફિલ્મ પદ્માવતને લઇ વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે સુપ્રીમ કોર્ટે ફિલ્મને લીલી ઝંડી આપી છે. પરંતુ સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવત'ને ગુજરાત સહિત ત્રણ રાજ્યોમાં પ્રતિબંધ હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે રાજ્ય પાસે ફિલ્મ અટકાવવાનો કોઇ અધિકાર નથી. આખા ભારતમાં 25 જાન્યુઆરીએ ફિલ્મ રિલીઝ થશે.
જેને લઇ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે. સુરત ખાતે સાઉથ ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સના એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યા હતા. જે દરમિયાન ફિલ્મ પદ્માવત પરના સુપ્રીમ કોર્ટના આદેશ મામલે પૂછાયેલ એક સવાલના જવાબમાં રૂપાણીએ જવાબ આપ્યો હતો.
સીએમ રૂપાણીએ કહ્યું કે ફિલ્મ પદ્માવત પર સરકારે પ્રતિબંધ મુક્યો જ હતો. ત્યારે SCના આદેશનું ગુજરાત સરકાર અભ્યાસ કરશે. તેવું રૂપાણીએ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે સીએમ રૂપાણીએ આ પહેલા એલાન કર્યું હતું કે જ્યાં સુધી ફિલ્મ પદ્માવતનો વિવાદ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી ગુજરાતમાં રિલીઝ કરવામાં આવશે નહીં.