ગાંધીનગર:દલિત આગેવાનના મોત બાદ મુખ્યમંત્રીએ મંત્રીઓ સાથે બેઠક યોજી હતી.આ બેઠકમાં પાટણના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે સરકાર આ ઘટનાને પગલે દુઃખી છે.છેલ્લા 5 કલાકથી સરકાર સમગ્ર મામલે ચર્ચા કરી રહી છે.સરકારે ભાનુ વણકરના પરિવારને મદદ કરવાનું વચન આપ્યું છે.શક્ય તેટલી તમામ મદદ કરવાની સરકારે જાહેરાત કરી છે.
મહત્વનું છે કે 1955માં ખાલસા કરેલી જમીન હાલ આ પરિવાર પાસે છે.7/12ના ઉતારામાં પણ આ પરિવારના નામ નથી.આઝાદી બાદ સરકારના નિયમ પ્રમાણે જમીન અપાઈ હતી.જમીન આ પરિવારને સોંપવામાં આવશે.અને 7/12ના ઉતારામાં આ પરિવારનું નામ ઉમેરવામાં આવશે.
તો આ ઘટના અંગે નીતિન પટેલે વધુ જણાવ્યું કે સરકાર જવાબદાર સામે કાર્યવાહી કરશે.આ સાથે એક જાહેરાત કરી છે કે ભાનુભાઈનો પરિવાર સુચવશે તે પ્રમાણે તપાસ કમિટીની રચના કરવામાં આવશે.SIT કે નિવૃત જજની અધ્યક્ષતામાં કમિટી બનાવવામાં આવશે.
આ કમિટી કોની ભુલથી બનાવ બન્યો તે અંગે તપાસ કરશે અને પરિવારની તમામ માંગણીઓ સંતોષવામાં આવશે.તો ભાનુ વણકરના પરિવારને રૂપિયા 4 લાખની સહાય કરવામાં આવશે.આમ સરકારે ભાનુ વણકરની તમામ માગણીઓ સ્વીકારી લીધી છે.ત્યારે હવે જોવું રહ્યું કે પરિવારજનો આગામી સમયમાં કેવી રણનીતિ ઘડે છે.