અમદાવાદઃ કોંગ્રેસે ગુજરાતમાં થનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને 77 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. કોંગ્રેસની યાદી જાહેર થતાની સાથે જ વિવાદો સર્જાયા હતા. જેમા PAAS નાં ત્રણ કન્વીનરોને જ ટિકિટ આપવામાં આવી છે. જેના કારણે PAAS કાર્યકર્તાઓમાં રોષની લાગણી પ્રવર્તી છે જેને લઇ તેઓ સુરતમાં કોંગ્રેસનો સખત વિરોધ કરી રહ્યા છે.
પાસ અને કોંગ્રેસમાં મોટુ ભંગાણ જોવા મળી રહ્યું છે. હાલમાં ભરત સિંહ સોલંકીનાં ઘરે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સ્થિતિને જોતા અમદાવાદનાં કેટલાક વિસ્તારોમાં પણ કોંગ્રેસનાં કાર્યાલયોને બંધ કરી દેવામાં આવ્યા છે.
3 કન્વીનરોને ટિકિટ અપાતા ભરતસિંહને ઘરે વિરોધ
યાદી બહાર આવતા જ માત્ર ત્રણ કન્વીનરોને ટિકિટ અપાતા દિનેશ બાંભણીયા તથા અલ્પેશ કથિરિયાના વડપણ હેઠળ પાસના કાર્યકરો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીના નિવાસસ્થાને ધસી ગયા હતા. ત્યાં ઉપસ્થિત કોંગ્રેસના કાર્યકરો સાથે તેમને ઉગ્ર બોલાચાલી થઈ હતી.
કોને પૂછી કન્વીનરોને ટિકિટ આપવામાં આવી છે ?
બાંભણીયાએ કહ્યું હતું કે કોને પૂછીને પાસના કન્વીનરોને ટિકિટ આપવામાં આવી છે ? ભરતસિંહ નહીં મળતા તેમણે તેમને મળવાનો આગ્રહ રાખ્યો હતો. દરમિયાનમાં અલ્પેશ કથિરિયાને કોંગ્રેસના કાર્યકરો સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. એક તબક્કે કથિરિયાએ કોંગ્રેસના લુખ્ખા જેવો શબ્દ વાપરતા ભડકો થયો હતો. જોતજોતામાં સુરત ભાવનગર ભરૂચ જૂનાગઢ વગેરે શહેરોમાં પણ બંને પક્ષ વચ્ચે કમઠાણ શરૂ થઈ ગયું હતું.
કોંગ્રેસ-PAASમાં ખટરાગ!
PAAS અને કોંગ્રેસના વિખવાદ બાદ બની શકે કે હાર્દિક પટેલ આજે પ્રોગ્રામ રદ્દ થઇ શકે. આજે હાર્દિક પટેલ પાસ અને કોંગ્રેસને લઇને મહત્વનું એલાન કરવાના હતા. રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરવાનું આયોજન હતું. જોકે હવે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન મોકુફ રહી શકે છે.