રાજકોટઃ 'મા તે મા બીજા વગડાના વા'આ કહેવત આજે રાજકોટમાં ખોટી પડી છે. રાજકોટમાં એક એવા હેવાન પુત્રનું કારસ્તાન સામે આવ્યું છે. જેણે પોતાની જ જનેતાની ઠંડા કલેજે હત્યા કરી નાખી. ત્યારબાદ આ હત્યાને અકસ્માત ગણાવી. પરંતુ કેવાય છે ને કે એક દિવસ તો પાપનો ઘડો ફૂટે જ છે. તેમ આ હેવાનનો પણ ઘડો ફૂટયો અને તેને જેલમાં જવું પડયું.
હેવાન પુત્રની કરતૂત કેમ આવી સામે?
હજૂ આ દુનિયામાં દિકરાની ઘેલછા રહેલી છે. દિકરો આવશે તો વંશ આગળ વધશે અને ઘડપણમાં સહારો બનશે. પરંતુ આવી આશા રાખીને બેઠેલા માતા-પિતા જરા ચેતી જજો. કારણે કે રાજકોટમાં એવો કિસ્સો સામે આવ્યો જેણે ભલભલાને ડઘાવી દીધા. રાજકોટમાં એવા એક હેવાન દિકરાનું કારસ્તાન સામે આવ્યું છે.
જેણે પોતાની જનની જનેતાને મોતને ઘાટ ઉતારી દીધી છે. એટલું જ નહીં પરંતુ આ હેવાન દિકરાએ માતાની હત્યા બાદનો બચવાનો પ્લાન ઘડી તેમાં સફળતા પણ મેળવી લીધી હતી. પરંતુ આખરે આ હેવાન દિકરાના પાપનો ઘડો તેના ઘરની સામે લાગેલા CCTV કેમેરાએ ફોડી નાખ્યો. દિકરાના સંબંધ પર લાંછન લગાવતા આ નરાધમને આખરે જેલના સડીયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે.
શું હતી સમગ્ર ઘટના?
સૌ કોઈને હચમચાવી નાખનાર આ ક્રુરતા ભરી ઘટના સામે આવી હતી. આ ઘટના રાજકોટના રામેશ્વર પાર્ક-2માં આવેલા દર્શન એવન્યુ એપાર્ટમેન્ટની છે. જ્યાં વૃદ્ધા જયશ્રીબેન નથવાણીની આજથી 4 મહિના પહેલા અગાસી પરથી નીચે પડતા મોત થયું હતું. જોકે ત્યાર બાદ આ મામલે પોલીસ દ્વારા આકસ્મિક મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી. શંકાના આધારે પોલીસે જયશ્રીબેન ઘરની સામેના CCTVની પણ તપાસ કરી હતી.
જેમાં સમગ્ર મામલાનો ભેદ ઉકેલાયો. વૃદ્ધાની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું. પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે CCTV મેળવીને તપાસ કરવામાં આવી. તો પોલીસને જાણવા મળ્યુ કે વૃદ્ધા છેલ્લા ઘણા સમયથી બિમાર હતી જેથી તે ચાલી શકતી ન હતી. પ્રાથમિક તપાસમાં એવું પણ જાણવા મળ્યું કે સંદિપ માતાની બિમારીથી કંટાળી ગયો હતો અને જેથી તેણે પોતાની માની હત્યા કરી હતી.
જોકે CCTV દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેવી રીતે સંદિપ પોતાની વૃદ્ધ માતાને ઉઠાવીને ઘરમાંથી બહાર લાવે છે. ત્યારબાદ અગાસી પર લઈ જઈ રહ્યો છે. જે બાદ અગાસીમાંથી વૃદ્ધાને નીચે ફેંકી પરત પોતાના ઘરમાં ઘુસી જાય છે. જોકે તેની ગણતરીની મીનિટોમાં જ એક વ્યક્તિ નીચેથી દોડી આવે છે અને તેના ઘરનો દરવાજો ખખડાવી સંદિપને આ અંગે જાણ કરે છે. ત્યારબાદ પોતાની જનેતાને મોતનેઘાટ ઉતરનાર આ ઢોંગી કપૂત દોડીને નીચે જતો દેખાઈ છે. જોકે હાલ કુળ દિપકના નામે કલંક સમાન આ કપૂતના જેલના સડીયા પાછળ છે.
મહત્વનું છે કે જે માએ દીકરાને ભણાવી-ગણાવી પ્રોફેસર બનાવ્યો આજે તે જ દિકરાએ માના દુધને લજવ્યું છે. જ્યારે માની સેવા કરવાનો અવસર આવ્યો ત્યારે સેવા ન કરવી પડે માટે પોતાની જ જનેતાનું કાસળ કાઢી નાખ્યું છે. ત્યારે સવાલ એ થાય છે કે શું આ જ છે નવી પેઢીની વિચારધારા ? શું આમ જ જળવાશે ભારતીય સંસ્કૃતિની ગરિમા ?