મુંબઇઃ 48 કલાક સુધી વરસાદે માયાનગરી મુંબઇમાં હાહાકાર મચાવ્યો હતો જેને લઇ અનેક જગ્યાઓ પર પાણી ભરાયા હતા તે વચ્ચે ત્રણ માળનું 117 વર્ષ જૂનું બિલ્ડિંગ ધરાશાઇ થયું છે. આજે દક્ષિણ મુંબઇ ડોંગરીના જેજે માર્ગ પાસે ઇમારત ધરાશાઇ થવાની દુર્ઘટના બની છે. 8.30 આસપાસ આ ઘટના બની હતી. મળતી માહિતી મુજબ તેમાં 6થી 8 પરિવારો વસવાટ કરતા હતા. આ ઇમારત ધરાશાઇ થતા અનેક લોકો કાટમાળમાં દટાયા હોવાની આશંકા જણાવાય રહી છે. રાહત અને બચાવ કામગીરી હાથ ધરાઇ છે.
ઘટનામાં 15 લોકોના મોત થયા છે જ્યારે 34 લોકો ગંભીરરીતે ઇજાગ્રસ્ત થયા છે. હજી પણ લોકો કાટમાળમાં દટાયા હોવાની સંભાવના છે.
આપને જણાવીએ તો મુંબઇમાં સતત ભારે વરસાદથી સમગ્ર શહેરમાં પાણી-પાણી થઇ ગયું હતું. શહેરમાં દરેક જગ્યા પર પાણી ભરાયું હતું. જે જ્યાં હતા ત્યાં થંભી ગયા હતા. પરંતુ ગુરૂવારની સવાર થતા-થતા પરિસ્થિત સામાન્ય થવા લાગી હતી. ગુરૂવારે સેન્ટ્રલ રેલ્વે લાઇની દરેક લોકલ ટ્રેનની સ્થિતિ રાબેતામુજબ ચાલી રહી છે.
દાઉદનું બાળપણ અહીં જ વીત્યું હતું
ભિંડી બજાર એક મુસ્લિમ બહુમતિ ધરાવતો વિસ્તાર છે. અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમનું બાળપણ આ વિસ્તારમાં જ પસાર થયું હતું. જે જગ્યાએ બિલ્ડિંગ ધરાશાયી થઈ છે ત્યાંથી થોડે દૂર દાઉદનું ઘર છે. આ વિસ્તારની મોટાભાગની બિલ્ડિંગો જર્જરિત થઈ ગઈ છે.
બિલ્ડિંગ ખાલી કરવા અપાઈ હતી ચેતાવણી
પુનઃનિર્માણ સ્કીમ અંતર્ગત આ બિલ્ડિંગની પસંદગી થઈ હતી. જે બાદ બિલ્ડિંગને ખાલી કરાવવામાં આવી રહી હતી પરંતુ ટોપ ફ્લોર પર 4 પરિવારો રહેતા હતા. આ ઉપરાંત ગ્રાઉન્ડ ફ્લોર પર પણ કેટરિંગનો બિઝનેસ કરતાં કેટલાક લોકો રહેતા હતા. આ દુર્ઘટના બની ત્યારે તેઓ ગ્રાઉન્ડ ફ્લોર પર ઊંઘી રહ્યા હોવાનો મોટો ખુલાસો થયો છે.
મહારાષ્ટ્રમાં ભારે વરસાદની ચેતવણી
હવામાન વિભાગે મહારાષ્ટ્રમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. આ ઉપરાંત મુંબઈ થાણે તથા આસપાસના વિસ્તારોમાં સામાન્ય વરસાદ થઈ શકે છે.