અમદાવાદઃ ગુજરાતની ચૂંટણીમાં રાજકીય પક્ષો હવાલા થકી કાળા નાણાનો ઉપયોગ કરી રહ્યા હોવાનું બહાર આવ્યુ છે. ચૂંટણી પંચે દરેક ઉમેદવાર માટે ખર્ચની સીમા ર૮ લાખ રૂપિયા નક્કી કરી છે. પરંતુ પક્ષો ચૂંટણી પંચના નિર્દેશોની ઐસી કી તૈસી કરતા હોય તેવુ જણાય છે. આ માટે નેતાઓ આંગડીયાનો સહારો લઇ રહ્યા છે. આંગડીયાઓનો ઉપયોગ હીરાના વેપારીઓ મોટાભાગે કરતા હોય છે.
તેઓ આ માટે પોતાના હીરા અને ઝવેરાત ગુજરાત મુંબઇ અને નવી દિલ્હી પહોંચાડે છે. ચૂંટણી દરમિયાન નેતા પોતાના કાળા નાણાને એક જગ્યાએથી બીજી જગ્યાએ આ ચેઇનથી મોકલાવી રહ્યા છે આ ખુલાસો કર્યો છે અંગ્રેજી ટીવી ન્યુઝ ચેનલ ઇન્ડિયા ટુડેએ. ઇન્ડિયા ટુડેએ એક સ્ટીંગ ઓપરેશન કર્યુ છે જેમાં આ માહિતી બહાર આવી છે.
સ્ટીંગ ઓપરેશનમાં આંગડિયા સર્વિસ સાથે જોડાયેલા અનેક લોકોએ સ્વીકાર્યુ છે કે ચૂંટણી દરમિયાન નેતાઓ તેઓની સેવાનો લાભ લેતા હોય છે. તેઓએ જણાવ્યુ હતુ કે નેતા એક જગ્યાએથી બીજી જગ્યાએ પૈસા પહોંચાડવા માટે તેમની મદદ લ્યે છે. અત્યારે ગુજરાતની ચૂંટણી માટે દિલ્હીથી પણ પૈસા આવી રહ્યા છે.
આની સાથે-સાથે એવુ પણ સામે આવ્યુ છે કે રાજકીય પક્ષોએ ગુજરાતની ચૂંટણી પહેલા પણ તેઓની સેવાઓનો લાભ લીધો હતો. સ્ટીંગમાં એવી પણ માહિતી સામે આવી છે કે આંગડિયાઓ થકી યુપીની ચૂંટણીમાં પણ પૈસા મોકલવામાં આવ્યા હતા.
આંગડિયા સર્વિસના એક સેન્ટર પર રોકડ જમા કરાઇ છે અને તેને જે સેન્ટર પર પહોંચાડવાના હોય છે તેનુ સરનામુ આપી દેવાય છે તે પછી બીજા દિવસે જે તે જગ્યાએ રોકડ મળી જતી હોય છે. આ માટે એક સેન્ટર પરથી બીજા સેન્ટર પર રોકડ જતી નથી પરંતુ જે સેન્ટરથી ડિલેવરી દેવાની હોય છે ત્યાં પડેલી રોકડમાંથી ચુકવણુ કરી દેવાય છે. આ પ્રકારે કાળુ નાણુ પકડાતુ નથી.
કારણ કે આંગડિયા રોકડ લઇને ચાલતા નથી. સ્ટીંગમાં જણાવાયુ છે કે ૧૦ કરોડની રોકડ ગુજરાતના કોઇપણ ભાગમાં પહોંચાડવા માટે ૧.૪૦ લાખ રૂપિયા ફી થતી હોય છે તો એક રાજયથી બીજા રાજય માટે ફી વધારે હોય છે.
પારદર્શિતાના વચન અને ચૂંટણી પ્રચારમાં ખર્ચ સંબંધી પ્રતિબંધોને કઇ રીતે ઘોણીને પી જવાય છે એ ગુજરાતમાં યોજાઇ રહેલી ચૂંટણીમાં કાળા નાણાનો જોરદાર ઉપયોગ થઇ રહ્યો છે તેના ઉપરથી જાણી શકાય છે. ઇન્ડિયા ટુડેની સ્પેશીયલ ટીમે પોતાની તપાસથી ચૂંટણીમાં ગેરકાનૂની પૈસાના કાળા ખેલને બેનકાબ કર્યો છે.
કઇ રીતે ગુજરાતમાં રાજકીય પક્ષો પોતાના ભાગ્ય અને કેશ માટે કઇ કઇ ચેનલોનો સહારો લ્યે છે. સ્ટીંગમાં છુપા કેમેરાથી કેટલાક આંગડિયાને એવુ કહેતા કેદ કરાયા છે કે કઇ રીતે રાજકીય પક્ષોએ ચૂંટણી પહેલા જ બીનહિસાબી નાણાને સગેવગે કરવા તેઓનો ઉપયોગ કર્યો હતો. આંગડિયાઓનો ધંધો અત્યારે પુરબહારમાં ખીલ્યો છે.
અમદાવાદના એક આંગડિયાના હિતેષભાઇએ કહ્યુ હતુ કે અગાઉ રોજ ર-૩ લાખ મળતા હતા જે અત્યારે ૧પ-ર૦ લાખ મળી રહ્યા છે. તેમણે ૧૦ કરોડ રૂપિયા પહોંચાડવાની ફી ૧.૪૦ લાખ રૂપિયા જણાવી હતી. સ્ટીંગમાં ભુપેન્દ્ર ઠક્કરની પણ વાત છે. સુરતમાં ભુપેન્દ્રભાઇનું પણ સ્ટીંગ કરવામાં આવ્યુ હતુ.
તપાસમાં ખુલ્યુ છે કે રાજકીય આકાઓ દિલ્હીની અંધારી ગલીઓથી ગુજરાત સુધી ચૂંટણી પ્રચાર માટે પૈસા પહોંચાડવામાં લાગ્યા છે. જુની દિલ્હીના ચાંદની ચોકના આંગડિયા અશોકભાઇ રોજ હવાલાના પૈસા ગુજરાત મોકલે છે.