ગાંધીનગરઃ વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે પક્ષોએ એડીચોટીનું જોર લગાવી દીધું છે. ત્યારે મતદારોને આકર્ષવા ભાજપના દિગ્ગજ નેતાઓ ચૂંટણીલક્ષી પ્રચાર કરશે. જંગી જાહેરસભાઓ ગજવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટમાં ચૂંટણીલક્ષી પ્રચાર કરશે. સાથે વિવિધ સમાજના આગેવાનો અને કાર્યકરો સાથે મુલાકાત કરશે.
સાંજે યોજાનાર મહિલા સંમેલનમાં વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે. આ તરફ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી ભાવનગર પોતાના મત વિસ્તારમાં પ્રચાર કરશે. ગ્રામ્ય બેઠક પર જીતુ વાઘાણી રોડશો કરશે. સાંજના સમયે જીતુ વાઘાણી મોદીના પ્રવાસ અંગે પત્રકાર પરિષદ યોજશે.
બીજી તરફ કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ સુરતમાં ચૂંટણીપ્રચાર કરશે. સાંજના સમયે જાહેરસભા સંબોધશે. કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાની બોટાદના લાઠીમાં બંને બેઠકોના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર કરશે. ગઢડામાં પણ ચૂંટણી પ્રચાર કરશે. જાહેરસભા પણ સંબોધશે.
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આગામી ચૂંટણી પ્રચાર કાર્યક્રમ ઘડાઈ રહ્યો છે. આગામી 6 ડિસેમ્બર બાદ 3 તબક્કામાં પીએમ મોદી ગુજરાત આવશે. જે માટે ધમાકેદારે ચૂંટણીપ્રચાર કાર્યક્રમ બનાવવામાં ભાજપ વ્યસ્ત થઈ ગયો છે. 12 ડિસેમ્બર સુધીમાં તેઓ મધ્યગુજરાત અને ઉત્તરગુજરાતમાં પ્રચાર કરશે.
પોતાના પ્રચાર પ્રવાસ દરમિયાના મોદી 24થી વધુ જનસભાઓ અને રોડશો યોજશે. પીએમ સતત ગુજરાતમાં રહીને ચૂંટણીપ્રચાર કરશે. ત્યાર બાદ 14મી ડિસેમ્બરે અમદાવાદમાં તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.