ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રથમ દોર શાંતિપૂર્વક રીતે પસાર થયો અને બીજા દોરનો પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે.
ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ઠેર-ઠેર પ્રચાર સભાઓ ગજવી રહ્યા છે ત્યારે આજે ગુજરાત કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા શંકરસિંહ વાઘેલાએ આજે કોંગ્રેસે ચૂંટણી હારવાની સોપારી લીધી છે અને જીતશે ભાજપ તેવું નિવેદન આપતા રાજકીય ગરમાવો ફેલાઈ ગયો છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ કોંગ્રેસ પક્ષ સાથે છેડો ફાડતા ગુજરાતના રાજકારણમાં ભૂકંપ સર્જાયો હતો. અને તેમણે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યા બાદ પરિવર્તન પાર્ટી નામે પક્ષની શરૂઆત કરી હતી.
આ સાથે તેમણે હાર્દિક પટેલ વિષે પણ એક નિવેદન આપતા જણાવ્યું હતું કે આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ હાર્દિક પટેલ ઇતિહાસ બની જશે.
3 દશકાથી વધુ કોંગ્રેસના અગ્રણીની ભૂમિકા ભજવ્યા બાદ કોંગ્રેસ સાથે છેડો ફાડનાર શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ વિષે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે જો કોંગ્રેસે થોડા સમય પહેલા જ ચૂંટણીલક્ષી તૈયારીઓ આરંભી હોત તો આ વખતે ગુજરાત વિધાનસભાની બેઠકો પર કોંગ્રેસ જીતી શકેત.
1996-97 ના સમયગાળામાં ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂકેલા 'બાપુ' એ જણાવ્યું હતું મેં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને જણાવ્યું હતું કે આ વખતે ગુજરાત કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણી 90 સીટ સાથે જીતી શકે છે.પરંતુ કોંગ્રેસના કેટલાક નેતાઓ જ નથી ઇચ્છતા કે કોંગ્રેસ ગુજરાતમાં જીતે.