ભાવનગરઃ ચુંટણીનાં સમયે ટિકિટ ન મળનારા કાર્યકરો નારાજ થાય તે સ્વાભાવિક છે પરંતુ આવું પ્રથમ વખત નથી બન્યું. આ બધું થોડાક સમયની અંદર સમી જતું હોય છે તેમ આજે ભાવનગર આવેલ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જણાવ્યું હતું.
ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠકનાં ભાજપનાં ઉમેદવાર વિભાવરીબેન દવેએ આજે પોતાનું ઉમેદવારીપત્ર પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની હાજરીમાં ફોર્મ ભર્યું હતું. આ સમયે એક જાહેર સભાનું આયોજન થયું હતું.
જેમાં આનંદીબેન પટેલે કોંગ્રેસ પર તાતા પ્રહારો કર્યા હતા. ગુજરાતને વિકાસની ઊંચાઈ ઉપર લઇ જવામાં ભાજપનો જ ફાળો છે તેમ જણાવ્યું હતું. ભાવનારના ઉમેદવાર વિભાવરીબેન દવેએ તેમનો વિજય થશે તેવો આશાવાદ વ્યકત કર્યો હતો.
જ્યારે ગઢડા 106 વિધાનસભા બેઠક પરથી આત્મારામ પરમારે ઉમેદવારી નોંધાવી હતી. ગઢડાના બન્ને સ્વામીનારાયણ મંદિરોમાં દર્શન કરી ફોર્મ ભરવા નીકળ્યા હતા. ગઢડાના મુખ્ય રસ્તાઓ પર રોડશો યોજી મામલતદાર કચેરીએ પોતાનું ઉમેદવારી પત્ર રજુ કર્યું હતું. જેમાં તેમણે પતિ પત્નીની 1 કરોડની મિલ્કત દર્શાવી હતી.