પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. સૌ ભક્તો ભગવાન શિવના દર્શને જતા હોય છે. ત્યારે અમે આપને એવા શિવ મંદિરના દર્શન કરાવીશુ કે જે સમુદ્રની મધ્યે માત્ર એક જ ખડક પર ઉભેલુ છે અને તે સ્વયંભૂ શિવલિંગ માનવામાં આવે છે.
ઘુઘરાતા રત્ના સાગરની મધ્યે આવેલા અતિ પ્રાચીન અને પૌરાણિક ભડકેશ્વર મહાદેવનું શિવાલય. જે સમુદ્ધમાં માત્ર એક જ ખડક પર વર્ષોથી ટકેલુ છે. દ્વારકાના દરિયા વચ્ચે આવેલુ આ મંદિર શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. સમુદ્રના પ્રચંડ મોજાઓની વચ્ચે વિજય પતાકા લહેરાવતુ આ મંદિર અનેક વર્ષોથી ભ~તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. અનેક ભક્તો ભગવાન ભોળિયાને રિજવવા માટે અહીં આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે.
ભડકેશ્વર મંદિરની વિશેષતા છે કે ખારા સમુદ્ર વચ્ચે આવેલુ હોવા છતાં પણ ભગવાનના લિંગનું તેજ હજુ પણ અકબંધ છે. વર્ષોથી આ લિંગમાં કોઈ ફેરફાર થયો નથી. સમુદ્રની ખારાશ શિવલિંગને કોઈ અસર કરી શક્યું નથી. ભક્તોનું માનીએ તો ભડકેશ્વર મહાદેવના દર્શન માત્રથી જ તમામ દુઃખ-દર્દ દૂર થઈ જાય છે. દૂર-દૂરથી આવતા ભક્તો ભગવાનના દર્શન કરી શાંતિની અનૂભૂતિ કરે છે. તો રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા મંદિરની પાસે ચોપાટીનું નિર્માણ કરવામાં આવ્યું છે જેના કારણે ભક્તોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દરિયામાં આવતી ભરતીના સમયે પાણી મંદિરના ઘેરી વળે છે તો ઓટના સમયે મંદિરના શાંતિથી દર્શન કરી શકાય છે.
પરમા આસ્થા અને શાંતિની અનુભૂતિ કરાવતા ભગવાન ભડકેશ્વર મહાદેવના દર્શન અને પૂજા માટે સ્થાનિકો પ્રતિદિન આવે છે અને નયનરમ્ય પ્રકૃતિના સૌદર્યનો આનંદ ઉઠાવે છે. રાજ્ય સરકાર દ્વારા પણ અનેક વિકાસ કામો કરીને મંદિરની સુંદરતા અને ભવ્યતામાં વધારો કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા વ્યવસ્થામાં પણ અનેક ફેરફારો કરાયા છે જેના કારણે પ્રવાસીઓ વધુમાં વધુ સંખ્યામાં આવીને ભગવાનના દર્શન કરે છે અને પોતાના જીવનની ધન્યતા અનુભવે છે.