ગાંધીનગર: વિધાનસભાના સત્ર પહેલા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ ગરીબ અને દલિતોના મુદ્દા ઉઠાવ્યા છે. વિરોધપક્ષના નેતાએ નિવેદન આપતાં કહ્યુ કે આગામી દિવસોની અંદર ગરીબો પછાત દલિતોને જમીનનો ટુકડો મળે તે માટે વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવશું.
આ ઉપરાંત પરેશ ધાનાણીએ જણાવ્યુ કે ગુજરાતના ગૌરવને પુન:સ્થાપિત કરવા રચનાત્મક વિપક્ષની ભૂમિકા નિભાવીશું. વિધાનસભાની કાર્યવાહીના સમયનો વ્યય ના થાય અને વિધાનસભાનું જીવંત પ્રસારણ થાય તે માટે રજુઆત કરવામા આવશે. વિવિધ તપાસ પંચના પડતર અહેવાલ વિધાનસભામાં સરકાર રજુ કરે.
પરેશ ધાનાણીએ કહ્યું કે લોકોની વેદનાને વાચા આપવાનું કામ કોંગ્રેસ કરશે. ભાજપ સરકારની અસંવેદનશીલતા કારણે રાજ્યમાં અનેક મુદ્દા ઉભા થયા છે. દલિત આગેવાનને આત્મહત્યા કરવી પડે તેવી દુઃખદ ઘટના બની. આ મુદ્દાને લઈને વ્યવસ્થા બદલવામાં આવે. નર્મદાના પાણી મુદ્દે સરકાર ઉપર દબાણ કરીશું. ગરીબના મોઢેથી અનાજ કોમ્પ્યુટર ખાય જાય છે તેની સામે કામ કરવાના છીએ. એમબી શાહ તાપસ પંચના મુદ્દાઓની વિધાનસભામાં ચર્ચા કરવામાં આવે. સુજલામ સુફલામનો રિપોર્ટ વિધાનસભામાં મુકાય.