અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી ઉનાળામાં પડનારી પાણીની તંગીને પહોંચી વળવા આગોતરું આયોજન કરવામાં આવ્યુ છે.આગામી સમયમાં આવનારા ઉનાળાની સીઝન ખેડૂતો માટે કપરી સાબિત ન થાય તે માટે જિલ્લા કલેકટર દ્વારા જિલ્લા લેવલે દરેક ખાતાના અધિકારીઓનો સમાવેશ કરી એક કમિટી બનાવવામાં આવી છે.
ઉનાળાની ઋતુમાં અરવલ્લી જિલ્લા વાસીઓને પીવાનું પાણી અને ખેતી માટે સિંચાઈનું પાણી મળી રહે અને તેની કોઈ સમસ્યા ઉભી ન થાય તે માટેનું આયોજન કરવામાં આવ્યુ છે. જે ગામડાની ફરિયાદ મળે તેનુ નિરાકરણ લાવવા માટે વહીવટી તંત્ર દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
ઉનાળા દરમિયાન પાણીની સમસ્યાને પહોંચી વળવા 1 કરોડ 66 લાખની ફાળવણી કરવામાં આવી છે.જે અંતર્ગત જિલ્લાના 23 ગામોમાં નવા હેન્ડ પંપ બનાવવા ઉપરાંત હેન્ડ પંપ રીપેરીંગ માટે 10 ટિમો બનાવવામાં આવી છે. જ્યારે 18 ગામોમાં નવા બોરના કામો હાથ ધરવામાં આવશે.