ગુજરાતમાં ચૂંટણીના બ્યૂગલ ફૂંકાઈ રહ્યા છે એવામાં ગુજરાતમાં આગામી ચૂંટણી પછી મુખ્યમંત્રી પદના ઉમેદવાર કોણ હશે તેના પર ઘણી ચર્ચા થઈ રહી છે. જો કે સોશિયલ મીડિયા પર પણ અને રાજકીય વર્ગમાં પણ આનંદીબેન પટેલ ફરીથી મુખ્યમંત્રી બનશે તેવી અટકળો ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા ભાજપના નેતા સુબ્રમણ્યિમ સ્વામીએ પણ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે મુખ્યમંત્રીના પદ માટે આનંદીબેન પટેલનું નામ પ્રસ્તાવિત કરવાની અપીલ કરી હતી. તેઓ માને છે કે આનંદીબેન પટેલના કારણે ગુજરાતમાં ભાજપ ફરીથી પોતાની પકડ મજબૂત બનાવી શકે છે.
જો કે આ બધી અટકળો પર ખુદ આનંદીબેને પૂર્ણવિરામ લગાવી દીધું છે. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને પત્ર લખ્યો છે જેમાં તેમણે આગામી વિધાનસભામાં ચૂંટણી નહીં લડે તેવો ઉલ્લેખ કર્યો છે. તેમણે પત્રમાં લખ્યું છે કે ચૂંટણીમાં નવા લોકોને તક આપવામા આવે. જો કે આનંદીબેને રાજનીતિ નહી છોડવાનો ઉલ્લેખ કરતાં કહ્યું છે કે ‘હું અન્ય કોઈ રાજ્યમાં રાજ્યપાલ તરીકે નહીં જઉં અને રાજકારણ પણ નહીં છોડું.’
જો કે આ મામલે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી. ભાજપના ભરત પંડ્યાએ આ નિર્ણય પર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે ‘આ નિર્ણય આનંદીબેનનો અંગત છે. આ નિર્ણય અંગે પાર્લામેન્ટ્રી બોર્ડમાં ચર્ચા થશે.’ ભાજપના ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ પણ એવું જ કહ્યું કે આ આનંદીબેનનો અંગત નિર્ણય છે.