સુરેન્દ્રનગર ખાતે તાજેતરમાં યોજાયેલા મુખ્યમંત્રીના કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ પક્ષ દ્વારા વિરોધ દરમિયાન જૈન સમાજ વિરુદ્ધ અપમાનજનક નારાઓ લગાવવામાં આવ્યા હતા જેના ભાગરૂપે સમગ્ર જૈન સમાજ દ્વારા જવાબદાર લોકોની સામે પગલાં લેવાની માંગ સાથે જિલ્લા કલેટકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું
સુરેન્દ્રનગર ખાતે ગત તારીખ 06 સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં નર્મદા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જે દરમિયાન શહેરના ટાગોર બાગ પાસે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનુભાઈ પટેલની અધ્યક્ષતામાં કોંગ્રેસના આગેવાનો દ્વારા મુખ્યમંત્રીના કાર્યક્રમનો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં પક્ષ પર આક્ષેપ-પ્રતિઆક્ષેપને બદલે કોંગ્રેસના હોદેદારોએ નિમ્ન કક્ષાએ જઈ જૈન જ્ઞાતિના વિરોધમાં અપમાનજનક નારા ઓ લગાવ્યા હતા.
કોંગ્રેસના આગેવાનો દ્વારા હાય રે વાણીયા...હાય...હાય જેવા સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો. આ બનાવને પગલે સમગ્ર જૈન સમાજની લાગણી દુભાણી હોય જય જિનેન્દ્ર સેવા ગ્રુપ અંતર્ગત જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગ સાથે જૈન સમાજના આગેવાનો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવવામાં આવ્યું હતું. તેમજ દોષિતો સામે તાત્કાલિક કડક પગલાં લેવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. આ તકે ધારાસભ્ય વર્ષાબેન દોશી સહીતના જૈન સમાજના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.