વિજયાદશમીની દેશભરમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી. દિલ્લીના લાલ કિલ્લા મેદાનમાં રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાવણ દહન કર્યું હતું અને ઉપસ્થિત સૌ લોકોને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આપણા ઉત્સવ ખેતર પ્રકૃતિ અને સાંસ્કૃતિક પરંપરાથી જોડાયેલા છે. વિજયાદશમીના પાવન પર્વ પર ભગવાન રામની જેમ આપણે પણ સંકલ્પ કરીએ અને વર્ષ 2022 સુધી દેશને સકારાત્મક સહયોગ આપીએ. આજના આ રંગારંગ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
દેશભરમાં ધામધૂમ પૂર્વક વિજયાદશમીની ઉજવણી કરવામાં આવી. ઉત્તરાખંડના પાટનગર દેહરાદુન પંજાબના અમૃતસર ઉત્તરપ્રદેશના વારાણસી અને જમ્મુ કશ્મીરના શ્રીનગરમાં રાવણ દહન કરવા આવ્યું હતું.શ્રીનગરમાં મુખ્યમંત્રી મહેબુબા મુફ્તી અને રાજ્યના મંત્રીઓની ઉપસ્થિતિમાં રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
રાજકોટ
વિજયાદશમીનું પર્વ સમગ્રદેશ સહિત ગુજરાતભરમાં ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક ઉજવાયુ હતું. રાવણરૂપી અહંકારનું દહન કરવા માટે અને રામરૂપી સત્યનો જયજય કરવા માટે ગુજરાતવાસીઓએ ઠેરઠેર રાવણ દહનનો કાર્યક્રમ યોજ્યો હતો. રાજકોટના રેસકોર્સ ખાતે રાવણના વિશાળ પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. તો અમદાવાદના અમરાઈવાડી ખાતે પણ 72 ફૂટ ઊંચા રાવણના પૂતળાંનું દહન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર
આજના દશેરાના પાવન અવસરે ભરૂચના અંકલેશ્વર ખાતે 52 ફૂટ ઉંચા રાવણના પૂતળાનું દહન કરવામાં કરવામાં આવ્યું હતું. રાવણ એ હિંદુ ધર્મમાં અહંકારનું પ્રતીક માનવામાં આવે છે. રાવણના પૂતળાના દહન સાથે રાવણપુત્ર મેધનાદ અને રાવણના ભાઈ કુંભકર્ણના પણ 52 ફૂટ ઊંચા પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 70 હજારથી વધારે જનમેદની હાજર રહી હતી.
અમદાવાદ
અસત્ય સામે સત્યના વિજયનું સંદેશ આપતું પર્વ એટલે વિજયાદશમી. કામ અને ક્રોધ રૂપી રાવણના દહનનું પર્વ એટલે દશેરાનો તહેવાર ધામધૂમ પૂર્વક ઉજવાઈ રહયો છે. કોંગ્રેસ દ્વારા અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રાવણની 72 ફૂટની પ્રતિમાંના દહનનો કાર્યક્રમ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતશસહ સોલંકી સહિત અનેક આગેવાનો હાજર રહેશે. સાથે જ મોટી સંખ્યામાં લોકો રાવણદહનના કાર્યક્રમમાં હાજર રહેવાના હોઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ફાયરની ટીમ અને એમ્બ્યુલન્સ પણ કાર્યક્રમસ્થળે તૈનાત રખાયા છે.
સિદ્ધપુર
દશેરાના દિવસે હિંદુધર્મમાં શસ્ત્રો એને પોતાના ધંધા-રોજગારના સાધનોની પૂજા કરવાનુ ખાસ મહત્વ છે. રાજપૂત સમાજમાં દશેરા નિમિત્તે શસ્ત્રોની પૂજા કરવાનું વિશેષ મહ્ત્વ છે. જેના ભાગરૂપે પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કલ્યાણા ગામે રાજપૂતયુવા સંગઠન દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી બાદ સામુહિક રીતે શસ્ત્રપૂજાની શાસ્ત્રોક્ત વિધિ યોજવામાં આવી હતી. જેમાં ધર્મ અને લોકહિતાર્થે અને દેશ રક્ષા કાજે હથિયાર ઉઠાવવાની પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં રાજપૂત સમાજના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.
જામનગર
અસત્યરૂપી રાવણ પર સત્યરૂપી રામના વિજયનું પર્વ એટલે વિજયાદશમીનું પર્વ આસુરી શક્તિ પર દૈવી શક્તિનો વિજય એટલે વિજયાદશમીનું પર્વ. આ પરિવારની ગરિમાને અનુરૂપ જામનગર રાજપૂત સમાજ દ્વારા લાલબંગલા નજીક શસ્ત્રપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંપરાગત વસ્ત્રોથી સજ્જ ક્ષત્રિયો દ્વારા જુદા-જુદા શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું. બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિસર પૂજન કરાવવામાં આવ્યું હતું અને એકબીજાના મોં મીઠાં કરાવીને વિધિ સંપન્ન કરાવવામાં આવ્યો હતો.