કોંગ્રેસ દ્વારા વિરોધપક્ષના નેતા તરીકે પરેશ ધાનાણીની પસંદગી કર્યા બાદ કોળી સમાજના વિરોધના સુરો ઉઠ્યા હતા.
આ ઘટના બાદ તેમણે ઉચ્ચ સ્તરીય બેઠક પણ બોલાવી હતી અને આ બેઠકમાં કોળી સમાજને થયેલી અન્યાય અંગેની ચર્ચા કરવામાં આવી હતી.
જો કે આ બેઠક બાદ કોળી સમાજ દ્વારા ભાજપ અને કોંગ્રેસના હાઇકમાન્ડને ખાસ પત્ર લખવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને પત્ર લખવામાં આવ્યો હતો.
જેમાં ઓલપાડના કોળી સમાજના ધારાસભ્ય મુકેશ પટેલ અને આર.સી.પટેલને આગામી સમયમાં મંત્રીમંડળનું વિસ્તરણ થાય ત્યારે મંત્રીમંડળમાં સમાવવા માંગ કરી હતી.
આ વાતની પૃષ્ઠિ કરતા અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાત રાજ્યના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રવદન પીઠાવાલાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આગામી સમયમાં ભાજપના મંત્રી પરષોત્તમ સોલંકી સાથે ખાસ બેઠક કરવામાં આવશે અને આગામી રણનીતિ અંગે ખાસ ચર્ચા કરવામાં આવશે.
આ સાથે કોળી સમાજ દ્વારા આગામી કાર્યક્રમની માહિતી આપતા જણાવ્યું હતું કે નજીકના સમયમાં સમાજ દ્વારા શક્તિ પ્રદર્શન યોજવામાં આવશે અને ભાજપ અને કોંગ્રેને સમાજની તાકાત દેખાડવામાં આવશે.