આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 'ઉડાન'ને લીલી ઝંડી આપી દીધી છે. 'ઉડે દેશ કા આમ નાગરિક' યોજના અંતર્ગત એર ઓડિશાની પહેલી ફ્લાઇટ અમદાવાદથી મુન્દ્રા સુધી ઉડાન ભરી હતી. પ્રથમ તબક્કામાં અમદાવાદથી ભાવનગર અમદાવાદથી જામનગર દિવ અને મુન્દ્રા સુધીની ફ્લાઇટ સર્વિસનો પ્રારંભ કર્યો છે. એર ઓડિશાએ ઉડાન યોજના અંતર્ગત નવા એરપોર્ટ્સ અને શહેરોને જોડતાં 50થી વધુ રૂટ્સ મેળવ્યા છે.
એર ઓડિશાના અને ઉડાનના યોજનાનો હેતુ કનેક્ટિવિટી વધારવાની સાથે સાથે સસ્તા દરે જનતાને મુસાફરી કરાવવાનો છે. એર ઓડિશાએ ભારત સરકારની ઉડાન યોજના અંતર્ગત પહેલાં તબક્કામાં મોટી સંખ્યામાં રૂટ્સ પ્રાપ્ત કર્યા છે. ઉલ્લેખનીય છે કે એર ઓડિશાએ ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ કોર્પોરેશન લિમિટેડ (GSIC) મોનાર્ક ગ્રુપ અને એર ડેક્કનનું સંયુક્ત સાહસ છે.
આ પ્રોજેક્ટની શરૂઆત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યુ કે ''આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ હેઠળ સામાન્ય માણસ પણ ઓછા દરે વર્ષમાં 2 વખત હવાઇ સફર માણી શકશે. એર ઓડિશા અને ઉડાના યોજનાનો હેતુ દેશના ખૂણે ખૂણે એર કનેક્ટિવિટી વધારવાનો છે. જેમાં તે ન વપરાયેલી એર સ્ટ્રીપ્સનો ઉપયોગ કરશે.''