મૂળ નામ સંપૂર્ણસિંહ કાલરા પણ ગુલઝારના નામથી જ વધુ જાણીતા શાયર-ગીતકારની ડિરેક્ટર તરીકેની છેલ્લી ફિલ્મ (છેલ્લી એટલા માટે કે ૧૯૯૯ પછી આ મેઘાવી માણસે કેમેરા પાછળ રહીને “કટ”નો આદેશ આપ્યો જ નથી અને બોલિવૂડને આનાથી મોટી ખોટ પણ પડી જ છે.) ‘હુતુતુ’ની ટેગલાઈન બહુ અદ્દભુત હતી. “ક્રોસિંગ ધ લાઈન ઈઝ કરપ્શન.” કોઈ પણ પ્રકારની રેખા કે મર્યાદા ઓળંગો તો એ ભ્રષ્ટાચાર જ છે. ગુલઝાર સા’બની આ પોલિટિકલ ડ્રામા એ સમયે ભલે લોકોને બહુ સમજાઈ નહીં પણ તેમની આ ભ્રષ્ટાચારવાળી વાત આજે પણ એકદમ રિલૅવન્ટ છે.
અમદાવાદ શહેરના શાસકોએ ભ્રષ્ટાચાર કરવામાં કોઈ મર્યાદા ઓળંગવાની બાકી રાખી નથી કે ક્યારેય પાછું વળીને જોયું નથી. અમદાવાદ દેશનું પ્રથમ હેરિટેજ સિટી જાહેર થયું ત્યારે હરખઘેલા બની ગયેલા લાખ્ખો અમદાવાદીઓનો આ ઉત્સાહ પહેલા વરસાદે મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રિ-મોન્સૂન એક્શન પ્લાનની જેમ જ ધોઈ નાંખ્યો.
સોશિયલ મીડિયા પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) અને શાસકોની મજાક ઉડાવતા (ખરા અર્થમાં ‘વસ્ત્રાહરણ’ કરતાં!) મેસેજ વાંચીએ ત્યારે એમ લાગે કે જો સત્તાધિશોની પૈસાની ભૂખ પર થોડો પણ અંકુશ હોત કે ભ્રષ્ટાચાર આચરવામાં થોડુંય માપ રાખ્યું હોત તો અમદાવાદ અને અમદાવાદીઓએ આજે આ ખતરનાક ખાડાં અને ભૂવાથી પરેશાન ન થવું પડ્યું હોત.
આંકડાઓ પર નજર કરીએ તો આપણો ગુસ્સો પણ સાતમા આસમાને પહોંચી જ જાય. છેલ્લાં કેટલાંક વર્ષોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધિશો એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરો સિવાય કોઈનો પણ વિકાસ થયો હોય તેવું લાગતું નથી. સુવિધાઓની દ્રષ્ટિએ અમદાવાદને વધુને વધુ પછાત બનાવવાની હોડ લાગેલી હોય એવું ચિત્ર સામે આવી રહ્યું છે. એએમસી દર વર્ષે રસ્તા રિપેર કરવા માટે લગભગ રૂ.૨૫૦ કરોડનું આંધણ કરે છે. છેલ્લાં ત્રણ વર્ષમાં અમદાવાદના ઉબડખાબડ રોડ રિપેર કરવા પાછળ જ ૮૦૦ કરોડથી વધુ નાણાં વપરાઈ ગયા છે અને આ નાણાં ક્યાં ગયા હશે તેનો અંદાજ તમે શહેરના કોઈ પણ રસ્તા ઉપર ફરો એટલે આવી જ જશે.
એએમસીના અધિકારીઓને ફક્ત કોન્ટ્રાક્ટરોને છાવરવામાં જ રસ છે બસ. દરેક મીટિંગ બાદ કે ભ્રષ્ટાચાર સપાટીએ આવે ત્યારે મ્યુનિસિપલ કમિશનર મૂકેશકુમાર અને મેયર ગૌતમ શાહ દર વખતે પારદર્શિતાની કડક પગલાં અને કાર્યવાહીની એ જ જૂની ચવાઈ ગયેલી કેસેટ વગાડીને ફરજ નિભાવ્યાનો ઓડકાર ખાઈને આત્મસંતોષ મેળવી લે છે. આ બધી વાતો ફક્ત કાગળ પર જ રહી જાય છે અને શહેરના નાગરિકોને કમરની ગંભીર બીમારી થઈ જાય તેવા આ ઉબડખાબડ બિસ્માર રોડની ખૌફનાક અને દિલધડક મુસાફરી કર્યા સિવાય કોઈ વિકલ્પ દેખાતો નથી.
શાંતિપુરા સર્કલથી શીલજ સુધીના શહેરના સૌથી લાંબા ફ્લાય ઓવરબ્રિજ એટલે કે બોપલ ફ્લાય ઓવરનું લોકાર્પણ હજી તો ગઈ ૬ જુલાઈએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે રંગેચંગે કરવામાં આવ્યું હતું. તાજેતરના ધોધમાર વરસાદે અંદાજે ૯૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલા આ ફ્લાય ઓવર અને તેમાં થયેલા ભ્રષ્ટાચારની પોલ ખોલી નાંખી. અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (ઔડા)ના શાસકોએ પહેલાં ધડાકે જ કોઈપણ જાતની તપાસ વિના કોન્ટ્રાક્ટરને ક્લીનચીટ આપી દેવાનું બહાદુરીભર્યું કામ કરી નાંખ્યું. બ્રિજની એક સાઈડ ગાબડાંને કારણે બંધ કરી દેવી પડી વાહનવ્યવહાર રોકવા બૅરિકેડ સુદ્ધાં ખડકી દેવાયાં અને હવે ઔડાને આ વાત ખૂબ નાની અને સામાન્ય લાગી રહી છે. આપણાં દેશમાં આ પ્રકારના ફ્લાય ઓવરબ્રિજની દુર્ઘટનાઓ અકસ્માતો કોઈ નવી વાત નથી. કોઈના પેટનું પાણી પણ હલતું નથી. જાડી ચામડીના શાસકોને નાગરિકોના જીવની પણ હવે કોઈ કિંમત રહી હોય તેવું લાગતું નથી.
છેલ્લે ફરીથી વાત કરીએ હેરિટેજ શહેર અમદાવાદની. એક અહેવાલ પ્રમાણે છેલ્લાં ૧૫ વર્ષમાં અમદાવાદ શહેરની સાંસ્કૃતિક ધરોહર અને આગવી ઓળખ સમાન હેરિટેજની શ્રેણીમાં આવતા ૧૦ હજાર મકાનો ગાયબ થઈ ગયા છે. લેભાગુ રાજકારણીઓ અને બિલ્ડરોની નેક્સસથી ઐતિહાસિક વારસાનું જતન કરવાને બદલે તેની દશા બેસાડી દેવામાં આવી છે. જે અમદાવાદ શહેરને દેશના પ્રથમ હેરિટેજ સિટી બનવાનું સૌભાગ્ય સાંપડ્યું તેની આજની સ્થિતિ શું છે? અમદાવાદની પોળોમાં હવે માત્ર ૨૨૫૦ હેરિટેજ મકાનો જ બચ્યા છે.
ભ્રષ્ટાચારની આ બીમારી તંત્રને ખોખલું બનાવી રહી છે. સત્તાના નશામાં ગૂલતાન નેતાઓ માને છે કે અમદાવાદની પ્રજા પાસે કોઈ વિકલ્પ જ નથી. રસ્તાં જેવી પાયાની સુવિધા માટે પણ સંઘર્ષ કરતો એક સામાન્ય અમદાવાદી જે દિવસે ખાડાં અને ભૂવાથી કંટાળી ગયો ત્યારે વર્ષોથી મૂળિયાં જમાવીને બેઠેલા પક્ષની વોટબેન્કમાં જે ગાબડાં પડશે તે આ ભ્રષ્ટાચાર કરતાં પણ વધુ ઊંડા હશે.
પ્રજ્ઞેશ શુક્લ સમભાવ મેટ્રો ન્યૂઝ પેપરનાં એડિટર પણ છે.