અમદાવાદ: શહેરમાં નવા વાડજ પાસે આવેલા ભીમજીપુરા વિસ્તારમાં ઝુંપડાઓમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ભીમજીપુરા પાસે આવેલા ફર્નિચરના ગોડાઉનમાં આગ લાગતાં એ આગ ચારેબાજુ ફેલાઇ ગઇ હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. એ વિસ્તારની આસપાસના ઝુંપડાઓ આગની લપેટમાં આવી ગયા અને અનેક ઝુંપડાઓ બળીને ખાખ થઇ ગયા હતા. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને આગને કાબૂમાં લેવા પ્રયાસો હાથ ધર્યા છે.
નોંધનીય છે કે હાલમાં દિવાળીનો તહેવાર લોકો ધામધૂમથી ઊજવી રહ્યા છે. ત્યારે દિવાળીના દિવસે ફટાકડાં ફોડીને લોકોએ નવા વર્ષનું સ્વાગત પણ કર્યું છે. પરંતુ આ ફટાકડાના કારણે જ આગ લાગી અને કેટલાક ઝુંપડાઓ બળીને ખાખ થઇ ગયા.