71માં સ્વાતંત્ર દિવસના બરાબર એક અઠવાડિયા પહેલા ગુજરાતમાં યોજાયેલ રાજ્યસભાના સાંસદોની ચૂંટણીએ દેશભરમાં મોટા પ્રમાણમાં ઉત્તેજના જમાવી હતી. એક રીતે કહીએ તો ફકત અહેમદ પટેલની બેઠકે કોંગ્રેસના ચાણકય અને ભાજપના ચાણકય વચ્ચેનો જંગ છેડાયો હતો જેમાં કોંગ્રેસનો વિજય થયો. કોંગ્રેસના બાગી ઉમેદવારની બાલિશ હરકતથી બે મતો રદ્દ થયા અને અહેમદ પટેલ પુનઃરાજયસભા માટે વિજયી ઠર્યા. પુરો એપિસોડ ડ્રામાથી કમ ન રહ્યો. હવે એ સવાલ છે કે રાજયસભાની ચૂંટણી તો રસપ્રદ રહી પણ શું નવા ચૂંટાયેલા અમિત શાહ પુનઃ ચૂંટાયેલા સ્મૃતિ ઇરાની અને અહેમદ પટેલની રાજ્યસભાના સાંસદ તરીકેની કાર્યવાહીમાં લોકો ચૂંટણી જેટલો રસ લેશે એ યક્ષપ્રશ્ન છે.
ગુજરાતમાંથી રાજ્યસભાના કુલ 11 સાંસદો છે જે પૈકી 9 ભાજપના અને 2 સાંસદો કોંગ્રસના છે. ગુજરાતમાંથી સ્મૃતિ ઇરાની અને અરૂણ જેટલી રાજ્યસભામાં મંત્રી છે. કોંગ્રેસના બે સાંસદો પૈકી મધૂસુદન મિસ્ત્રી અને અહેમદ પટેલ પોલિટિકસના સિઝન ખેલાડી છે. રાજ્યસભાના સાંસદ તરીકે અહેમદ પટેલે સંસદમાં કુલ 73 ટકા હાજરી આપી છે જ્યારે 23 ડિબેટમાં સહભાગી બન્યા છે અને કુલ 217 પ્રશ્નો સંસદમાં ઉઠાવ્યાં છે. કોંગ્રેસના બીજા બોલકા સાંસદ તરીકે મધૂસુદન મિસ્ત્રીની કામગીરી જોઇએ તો તેમણે સંસદની કાર્યવાહિમાં 84 ટકા હાજરી આપી 84 ડિબેટમાં ભાગ લીધો છે પણ તેમણે રાજ્યસભામાં ફકત 45 પ્રશ્નો જ પૂછયા છે. એક અભ્યાસુ સાંસદ તરીકોની છાપ ધરાવતા મધૂસુદન મિસ્ત્રીએ પ્રમાણમાં ઓછા પ્રશ્નો પૂછીને આશ્ચર્ય સર્જ્યુ છે.
ભાજપના 9 રાજ્યસભા સાંસદોની કાર્યવાહી તપાસીએ તો 2014માં રાજ્યસભામાં પસંદ થયેલા ચુનીભાઇ ગોહિલે અત્યાર સુધીમાં રાજ્યસભામાં 90 ટકા હાજરી આપીને 30 ડિબેટમાં સહભાગી થઇ 55 પ્રશ્નો એક સાંસદ તરીકે પૂછ્યા છે. નાણામંત્રી અરૂણ જેટલીએ રાજ્યસભાના સાંસદ તરીકે કુલ 105 ડિબેટમાં સહભાગી બન્યા છે. કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઇરાનીએ રાજ્યસભામાં કુલ 73 ટકા હાજરી આપી 51 ડિબેટમાં 340 પ્રશ્નો સાંસદ તરીકે પૂછ્યા છે. આ વર્ષે રાજ્યસભામાંથી નિવૃત થયેલા ભાજપના દિલીપ પંડયાએ 92 ટકા હાજરી આપી 21 ડિબેટમાં ભાગ લીધો છે અને 458 પ્રશ્નો સંસદમાં પૂછ્યા છે. ભાજપના મહંત શંભુપ્રસાદ ટુંડીયાએ 83 ટકા હાજરી આપી 21 ડિબેટમાં સહભાગી બની 42 પ્રશ્નો પૂછ્યા છે. વર્ષ-2012માં રાજ્યસભામાં ચૂંટાયેલા શંકરભાઇ વેગડે કુલ 88 ટકા હાજરી આપી ફક્ત 8 ડિબેટમાં ભાગ લીધો અને 76 પ્રશ્નો જ પુછ્યા છે.
વર્ષ-2016માં રાજ્યસભાના સાંસદ બનેલા ભાજપના દિગ્ગજ નેતા અને હાલ કેન્દ્રીય રાજ્યમંત્રી પુરષોત્તમ રૂપાલાએ રાજ્યસભામાં 75 ટકા હાજરી આપી 43 ડીબેટમાં ભાગ લઇને સૌથી વધુ 550 પ્રશ્નો પુછ્યા છે. વર્ષ-2020માં રાજ્યસભામાંથી નિવૃત્ત થનાર ભાજપના લાલસિંહ વડોદીયાએ 92 ટકા હાજરી આપી 25 ડિબેટમાં ભાગ લીધો અને અને 512 પ્રશ્નો સંસદમાં ઉઠાવ્યા છે. ભાજપના જ રાજ્યસભા સાંસદ અને હાલ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન કુલ 68 ટકા હાજરી આપી અને સંસદની કુલ 55 ડિબેટમાં ભાગ લઇ કુલ 449 પ્રશ્નો પુછ્યા છે.
ગુજરાતનો વિકાસ થાય અને કેન્દ્ર સરકાર તરફથી રાજ્યને વધુ સંસાધનો ફળવાય પડતર પ્રશ્નો ઓછા થાય તે માટે રાજ્યસભાના સાંસદો મહત્વપુર્ણ કામ કરી આ બાબતે અવાજ ઉઠાવી શકે છે. ગુજરાતના રાજ્યસભાના 11 સાંસદો બોલકા થશે તો નર્મદા ઓએનજીસીની રોયલ્ટી કોલસાની ફાળવણી અને કેન્દ્રીય યોજનાની વધુ ફાળવણી બાબતે રાજ્યને ફાયદો થશે. તો જ રાજ્યસભાની ચૂંટણી સમયે લોકોમાં જાગેલી ઉત્તેજના સાર્થક નીવડશે.