નવરાત્રીનો માહોલ પુરજોશમાં જામ્યો છે. 51 શક્તિપીઠમાં સ્થાન ધરાવનાર અંબાજી મંદિર સહિત ગુજરાતભરનાં દેવી મંદિરોમાં જગદંબાની આરાધનામાં ભક્તો લીન બન્યા છે. કચ્છમાં આવેલ માતાના મઢના દર્શન કરવા લોખોની સંખ્યામાં લોકો પગપાળા ચાલતા જાય છે ત્યારે આ જગ્યા વિશેની કેટલીક જાણી અજાણી વાતો રસપ્રદ છે.
આશાપુરાનો અર્થ થાય છે ભક્તોની આશા પુરી કરનાર. ભુજથી આશરે 95 કિલોમીટરના અંતરે આવેલ માતાના મઢથી પ્રચલિત બનેલ જગ્યા પર માં આશાપુરા માતાજીનું શિખરબધ્ધ મંદિર આવેલ છે. નવરાત્રિ સહિત ચાલુ દિવસે મોટી સંખ્યામાં માનવ મહેરામણ અહિં દર્શન કરવા ઉમટી પડે છે. જગત જનનીના દર્શને આવતા દરેક ભાવિકોની મનોકામના માતાજી અવશ્ય પુરી કરે છે.
આશાપરાની ઉત્પત્તિ અને તેમના પ્રાગ્ટ્ય વિશે 3 કથાનક જોડાયેલ છે. ઇસુની 12 મી સદીમાં આ જગ્યાએ માતાજી પધાર્યા હોવાની વાત છે. તો એક એવી પણ લોક વાયકા છે કે દેવચંદ નામનો એક માહેશ્વરી વાણિયો વેપાર કરવા કચ્છમાં આવ્યો હતો. શરદીય નવરાત્રિ ચાલુ હતી અને તે દરમિયાન તે એક વખત માં આશાપુરાના આ સ્થાનકે આવી ચડ્યો. દેવચંદે માતાજીના સ્થાનકે આવી જગદંબાની આરાધના કરી અને પોતાને ત્યાં શેર માટીની ખોટ છે તે પુરવા માતાજીને વિનંતી કરી. રાતનાં સમયે દેવચંદને માતાજી સ્વપ્નમાં આવ્યા અને કહ્યુ કે નવરાત્રિ પુજન કરવા માંટે મારૂ આસન તે બનાવ્યુ છે તે સ્થળે જ મારૂ મંદિરનું નિર્માણ કરાવજે અને આ મંદિરના દ્વાર છ માસ સુધી બંધ રાખજે. આટલુ કહી માતાજી અંતરદ્યાન થયા. સવારે જાગીને દેવચંદે જોયુ તો તેની નજુક એક નારીયેળ અને ચુંદડી પ્રસાદરૂપે પડેલ જોયા. માતાજીની આજ્ઞા અનુસાર દેવચંદે મંદિરનું નિર્માણ કરાવ્યું.
અચાનક એક દિવસ સાંજના સમયે એક દિવ્યજ્યોત મંદિરની અંદર દેખાઇ અને ઝાલરો વાગતી સંભળાઇ અધિરા બનેલ દેવચંદે મંદિર તરફ દોટ મુકી અને દરવાજા ખોલતા જ બધું અદ્રશ્ય થઇ ગયુ અને દેવચંદને ભાન થયુ કે તેણે છ માસ પહેલા જ દરવાજા ખોલી નાંખ્યા છે. માતાજીને ફરી વિનવણી કરી માફી માંગતા માતાજી પ્રસન્ન થયા અને દેવચંદને કહ્યુ ભલે તે દ્વાર ખોલી નાખ્યા પણ હું તારી સેવાથી ખુશ થઇ છું માંગ વરદાન દેવચંદે માં ને ફરીવાર પોતાને ત્યાં શેર માટીની ખોટ પુરવા જણાવ્યું. માતાજી આશિર્વાદ આપી અંતર્ધાન થયા થોડા સમય બાદ માતાજીના આશિર્વાદથી દેવચંદને પુત્રરત્નની પ્રાપ્તિ થઇ. આવી પણ એક કથા લોકમુખે સાંભળવા મળી છે.